ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોની રાતની ઊંઘ હવે ખરાબ નહીં થાય. મુસાફરી દરમિયાન આજુબાજુમાં કોઈપણ સહયાત્રી મોબાઈલ ફોન પર મોટા અવાજમાં વાત નહીં કરી શકે અને મોટા અવાજે મ્યુઝિક પણ નહીં સાંભળી શકે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. યાત્રિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના કારણે રેલવે હવેથી આવા લોકો પર કાર્યવાહી કરશે. એટલું જ નહીં ટ્રેન સ્ટાફની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. આ સંદર્ભમાં રેલવે મંત્રાલયએ તમામ ઝોનને આદેશો જારી કરી દીધા છે, જેથી આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરી શકાય.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર મોટા ભાગના યાત્રિકો ફરિયાદ કરતા હતા કે, સહયાત્રી મોબાઈલ પર મોટા મોટા અવાજે વાત કરે છે અથવા તો મ્યુઝિક સાંભળે છે. આ પ્રકારની ફરિયાદ પણ આવતી હતી કે, કોચમાં બેઠેલું કોઈ ગ્રુપ રાત્રે મોટા અવાજે ડિસ્કશન કરે છે. તે સિવાય એવી પણ ફરિયાદ હતી કે, રેલવેના સ્કોર્ટ કે મેઈન્ટેનન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટેથી વાતો કરતા નીકળતા હોય છે, જેનાથી મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ સિવાય રાત્રે લાઈટ ચાલુ રાખવાને લઈને પણ વિવાદ થતો હતો, જેની ફરિયાદ પણ રેલવેને મળી હતી.

રેલવેએ રાત્રે 10:00 વાગ્યા બાદની જારી કરેલી ગાઈડ લાઈન કોઈ પણ મુસાફર મોટા અવાજથી મોબાઈલ પર વાત નહીં કરે અથવા ઉંચા અવાજે મ્યુઝિક નહીં સાંભળી શકે, જેનાથી સહયાત્રી ડિસ્ટર્બ થાય તથા રાત્રે નાઈટ લાઈટને છોડીને બધી લાઈટ બંધ કરવાની રહેશે, જેથી સહયાત્રીની ઊંઘ ખરાબ ના થાય.