(Photo by Jim Bourg-Pool/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના શ્રમિકોના કહેવાતા હિતના નામે ઇમિગ્રન્ટ શ્રમિકો માટેના એચ-વન બી વિઝાની સાથોસાથ અન્ય વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પરના નિયંત્રણોની પોતાની નીતિ 31 માર્ચ 2021 સુધી લંબાવી છે.

ટ્રમ્પે 2020ના એપ્રિલની 22મીએ અને ત્યારબાદ જૂનની 22મીએ વિવિધ કેટેગરીના વર્ક વિઝા પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી. તે આદેશ ડિસેમ્બર 31મીએ આપોઆપ રદ થવાનો હતો. પરંતુ તે રદ થાય એ પહેલાં ટ્રમ્પે 31મીએ જ આ નીતિ 2021ના માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરીને હજારો આઇટી પ્રોફેશનલ્સને આંચકો આપ્યો હતો.

ગુરૂવારે આ અંગેની જાહેરાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કોરોનાના કારણે લેબર માર્કેટ પર પ્રતિકૂળ અસર થઇ હતી અને અમેરિકના લોકોના આરોગ્યને પણ અસર થઇ હતી. એ સંજોગોમાં અમેરિકી યુવાનોને પૂરતું કામ મળી રહે એ જોવાની અમેરિકી સરકારની જવાબદારી હતી. તેથી વિઝા નીતિના નિયંત્રણોને 2021ના માર્ચ સુધી લંબાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે કોરોનાની રસી ઉપલબ્ધ થઇ છે એ સાચું પરંતુ લેબર માર્કેટ અને અમેરિકી લોકોના સામુદાયિક આરોગ્ય પરની કોરોનાની અસર હજુ પૂરેપૂરી સમાપ્ત થઇ નથી એટલે વિઝા નીતિ લંબાવવાની ફરજ પડી હતી. ટ્રમ્પના આ નિર્ણયથી હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ અને અમેરિકી ઉપરાંત ભારતીય કંપનીઓ પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. ટ્રમ્પે કહ્યું હતું કે જે સંજોગોને લીધે વીઝા નીતિ બદલવી પડી હતી એ સંજોગો હજુ ઊભા છે. અમેરિકી યુવાનોને પૂરતું કામ મળી રહે અને તેમને આવી રહેલા વર્ષમાં કોઇ આર્થિક મુશ્કેલી સહન ન કરવી પડે એવો આ નીતિ પાછળનો હેતુ હતો.

એચ વન બી વિઝા ઇમિગ્રન્ટ કામદારો માટેના વિઝા છે. તેનાથી અમેરિકા તેમજ અમેરિકા ખાતેની વિદેશી કંપનીઓને અન્ય દેશોમાંથી એક્સપર્ટ યુવાનોને પોતાને ત્યાં કામે રાખવાની સગવડ આપે છે. ખાસ કરીને ભારતીય અને ચીની આઇટી પ્રોફેશનલ્સને આ રીતે અમેરિકામાં કામ કરીને વધુ કમાવાની તક મળે છે.