અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે વતનમાં પૈસાના મોકલવાનું 4 જુલાઈ 2025 પછી મોંઘુ થાય તેવું એક બિલ ઘડાયું છે. સત્તાધારી રીપબ્લિકન સાંસદોના આ બિલમાં તમામ નોન સિટિઝનના તમામ ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર પર 5 ટકા ટેક્સ લાદવાની વિવાદાસ્પદ દરખાસ્ત છે. આ બિલની જોગવાઈ મુજબ H-1B, F-1 જેવા નોન ઇમિગ્રન્ટ્સ વિઝા હોલ્ડર હોય કે ગ્રીનકાર્ડધારકો હોય, તમામ નોન યુએસ સિટિઝને વિદેશમાં મની ટ્રાન્સફર પર 5 ટકા ટેક્સ ભરવો પડશે. વેસ્ટર્ન યુનિયન, પેપાલ અથવા તો બેંકો ટ્રાઝેક્શન વખતે જ આ ટેક્સની કપાત કરશે.
આ બિલનું સત્તાવાર નામ ‘ધ વન બિગ બ્યુટીફુલ બિલ’ રખાયું છે, પરંતુ તેનાથી અમેરિકામાં રહેતા અને ભારત સહિતના વિવિધ દેશોમાં નાણા મોકલવા લાખ્ખો ભારતીયો સહિતના લોકોને મોંઘા પડી શકે છે.
આ બિલ કાયદો બન્યા પછી કોઈપણ વ્યક્તિ, જે અમેરિકન નાગરિક નથી અને દેશની બહાર પૈસા મોકલે છે, તેમણે 5 ટકા રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. નિયમિતપણે વિદેશમાં પોતાના પરિવારોને પૈસા મોકલતા, યુએસમાં રહેતા લોકોને તેની વિશેષ અસર થશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં આ કાયદાને સમર્થન આપી તેને મહાન ગણાવ્યો છે અને  રીપબ્લિકન્સને તેને બહાલીની ખાતરી કરવા વિનંતી કરી છે. 5% રેમિટન્સ ટેક્સનો હેતુ વ્યાપક કર રાહતો પછી થતું નુકસાન સરભર કરવાનો તથા સરહદ સુરક્ષા પહેલને ટેકો આપવાનો છે.
નવી જોગવાઈનો અર્થ એ થશે કે વતન મોકલવામાં આવતા દરેક ₹1 લાખ માટે ₹5,000 ઇચ્છિત પ્રાપ્તકર્તાઓના બદલે IRSને જશે.

આ બિલને ઝડપથી કાયદાનું સ્વરૂપ આપવાની તૈયારી ચાલી રહી છે. 26 મે, 2025ના મેમોરિયલ ડે સુધીમાં ગૃહમાં બિલ પસાર કરવાનો લક્ષ્યાંક છે. આ પછી તે સેનેટમાં જશે. કાયદા ઘડનારાઓને આશા છે કે 4 જુલાઈ સુધીમાં પ્રેસિડેન્ટ તેના પર હસ્તાક્ષર કરશે અને તે કાયદો બનશે. એ પછી ફાયનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂશન અને મની ટ્રાન્સફર એજન્સીઓ દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 5 ટકા ટેક્સ વસૂલવાનું ચાલુ કરશે.
ભારતમાં NRIના નાણાપ્રવાહને અસર થશે
રેમિટન્સ ટેક્સથી NRIsની હાલની નાણાકીય વ્યૂહરચનાઓને અસર કરી શકે છે. એનઆરઆઇ  વૃદ્ધ માતાપિતાને આર્થિક મદદ કરતા હોય, ભાઈ-બહેનના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડી રહ્યા હોય, અથવા ઘરે રીઅલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા હોય, તો પણ હવે તેના પર ટેક્સ લાગશે. આ ટેક્સ પરંપરાગત બેંકો અને NRE/NRO ખાતાઓ સહિત તમામ કાયદેસર માધ્યમો પર લાગુ પડે છે, જેના કારણે નિયમભંગ કર્યા વિના ટેક્સ ટાળવા માટે બહુ ઓછા વિકલ્પો બાકી રહે છે.
ઇન્ડિયન ડાયાસ્પોરા પર વાર્ષિક $1.6 અબજના ટેક્સબોજનો અંદાજ
માર્ચમાં આરબીઆઇએ જાહેર કરેલા રેમિટન્સ સર્વે મુજબ ભારતને 2023-24માં 118.7 અબજ ડોલરનું રેમિટન્સ મળ્યું હતું. આમાંથી આશરે 28 ટકા અથવા 32 બિલિયન ડોલર અમેરિકાથી આવ્યા હતાં. આ બિલ કાયદો બને તો હાલના આંકડા મુજબ જ ઇન્ડિયન ડાયાસ્પોરાએ 1.6 અબજ ડોલરનો રેમિટન્સ ટેક્સ ભરવો પડે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકામાં લગભગ 45 લાખ વિદેશી ભારતીયો છે, જેમાં લગભગ 32 લાખ પીઆઈઓનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન ડાયાસ્પોરાને શું અસર થશે
ભારતીય પરિવારોને દર વર્ષે અંદાજે $1.7 બિલિયનનું નુકસાન થઈ શકે છે. શિક્ષણ, આરોગ્યસંભાળ અને વૃદ્ધોની સંભાળ માટેના ભંડોળને અસર થઈ શકે છે
ભારતીય રીઅલ એસ્ટેટ અને શેરોમાં NRI રોકાણ ઘટી શકે છે
અમેરિકામાં 45 લાખથી વધુ ભારતીયો
અમેરિકાના સૂચિત ખરડાને પરિણામે અમેરિકામાં વસતા ૪૫ લાખથી વધુ ભારતીયો માટે સ્વદેશમાં પરિવારજનોને નાણાં મોકલવાનું મુશ્કેલ બનશે. ૪૫ લાખમાંથી ૩૨ લાખ તો મૂળ ભારતીયો જ છે. આ રીતે નાણાં મોકલનારાઓમાં બહુધા મધ્યમ વર્ગના નોકરિયાતોનો સમાવેશ થાય છે. તેઓ તેમના સ્વજનો, પરિવારના નિભાવ માટે અમેરિકાથી ભારત નાણાં મોકલતા હોય છે.

LEAVE A REPLY