બ્રિટનના બાંધકામ ઉદ્યોગમાં શ્રમિકોની તીવ્ર અછતને નિવારવા માટે વિદેશમાંથી વધુ સરળતાથી તેમને બોલાવવા માટે વિઝાના નિયમોમાં છૂટછાટો આપી છે.

નિયમોમાં નવા ફેરફાર મુજબ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના કુશળ કારીગરો, મિસ્ત્રીઓને આ સસ્તા વિઝાથી ફાયદો થશે અને રોજગારીના માપદંડમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. બ્રિટન કેટલાક ક્ષેત્રોમાં શ્રમિકોની તીવ્ર અછત અનુભવી રહ્યું હોવાથી વિવિધ કંપનીઓ વિદેશી કામદારોની ભરતી કરવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ, આ બાબત વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી માટે રાજકીય પીડાદાયક છે, કારણ કે, તે છેલ્લા એક દસકાથી માઇગ્રેશન ઘટાડવાનું વચન આપી રહી છે.

આંતરિક મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશમાં નવા શ્રમિકો લાવવાથી “મુખ્ય રાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે અને સંબંધિત ઉદ્યોગોની વૃદ્ધિને ઉત્તેજન મળશે.” સ્વતંત્ર માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ માર્ચમાં એવી ભલામણ કરી હતી કે, બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની અછતને વ્યવસાયની યાદીમાં સમાવેશ કરવામાં આવે. આ યાદીમાં અગાઉથી જ કેર વર્કર્સ, સિવિલ એન્જિનિયર્સ અને લેબોરેટરી ટેકનિશિયન અને હેલ્થકેર ક્ષેત્રની કામગીરીનો સમાવેશ થાય છે. બ્રિટનમાં ગત વર્ષે ચોખ્ખું માઇગ્રેશન 606,000ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, મે મહિનામાં જાહેર થયેલા આંકડા દર્શાવે છે, વિદેશીઓનું આગમન ઘટાડવા માટે સુનક તરફથી નવા વચનો આપવામાં આવ્યા હતા.

બ્રેક્ઝિટના ટીકાકારો કહે છે કે, યુરોપિયન યુનિયનમાંથી યુકેના બહાર નીકળવાથી શ્રમિકોની અછત વધી છે, કારણ કે ઇયુ નાગરિકો હવે અગાઉની જેમ બ્રિટનમાં કામ કરવા માટે વિઝા વગર મુસાફરી કરી શકતા નથી.
એક સરકારી નિવેદન મુજબ શ્રમિકોની અછત અનુભવી રહેલા વ્યવસાયમાં કામ કરનારાઓને નોકરીના સામાન્ય દરના 80 ટકા રકમ ચૂકવવામાં આવી શકે છે અને તેમ છતાં તેઓ વિઝા માટે યોગ્યતા ધરાવે છે. કંપનીઓ તરફથી અરજદારોને નોકરીની ઓફરની જરૂર છે અને તેમણે અંગ્રેજી ભાષાની જરૂરિયાત પૂર્ણ કરવી આવશ્યક છે.

LEAVE A REPLY

twelve + two =