Cropped shot of an unrecognizable woman handing over her ID book at a boarding gate in an airport

કામદારોના પ્રવાહ પર અંકુશ મેળવવા માટે અને સાચા અર્થમાં જરૂરી અને વિશ્વભરના સર્વશ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા લોકોને આવકારવા તા. 1 જાન્યુઆરી, 2021થી નવી પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરવાની બોરિસ જ્હોનસન સરકારે ગયા સપ્તાહે જાહેરાત કરી હતી. નવી યોજના અંતર્ગત ઇયુ અને નોન-ઇયુ કામદારોનું મૂલ્યાંકન સમાન રીતે કરાશે અને દેશમાં પ્રવેશ માટે ઓછામાં ઓછા નિર્ધારીત 70 પોઇન્ટની જરૂર પડશે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યુ હતુ કે ‘’2016નો બ્રેક્ઝિટ લોકમત અને 2019ની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જનતા ‘ઓછા કુશળ ઇમિગ્રેશનમાં ઘટાડો ઇચ્છે છે. ઉચ્ચ કુશળ લોકો જેમ કે વૈજ્ઞાનિકો નોકરીની ઑફર વિના પણ આવવા માટે સક્ષમ હશે પરંતુ ઓછા કુશળ લોકો યુકે આવી શકશે નહીં. બ્રિટન 1973માં કોમન માર્કેટમાં જોડાયું ત્યાર પછી સૌ પ્રથમ વખત આટલો મોટો ફેરફાર કરાયો છે. હવે અમે અમારી સરહદો પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે ઐતિહાસિક બ્લુપ્રિન્ટ સેટ કરી છે જે લોકોની યોગ્ય માંગ છે.’’
આ સિસ્ટમ હેઠળ જેમનો વાર્ષિક પગાર ઓછામાં ઓછો 25,600 પાઉન્ડ હશે એવા લોકોને જ દેશમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. પરંતુ જે ક્ષેત્રમાં કર્મચારીઓ મળતા જ નહીં હોય તેવા ક્ષેત્ર માટે પગાર નિર્ધારિત કરતા ઓછા હશે તો પણ ચલાવી લેવાશે. હોમ ઓફિસે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની (એમએસી) સલાહ માનીને કુશળ ઇમિગ્રન્ટનો ઓછામાં ઓછો સેલેરી 25,600 પાઉન્ડ હોવો જોઇએ તેમ નક્કી કર્યુ છે.
બ્રિટનના વર્ક વિઝા માટેના ત્રણ ફરજિયાત માપદંડ જરૂરી હશે જે બદલ કુલ 50 પોઇન્ટ મળી શકશે. તેમાં માન્ય સ્પોન્સરર તરફથી નોકરીની ઑફર, આવશ્યક કૌશલ્યના સ્તર માટે જોબ ઑફર અને ઇંગ્લિશ બોલવાની ક્ષમતા જરૂરી છે. તે સિવાય શિક્ષણના સ્તર, જે તે શ્રેત્રમાં મળતા પગાર અને જે તે ક્ષેત્રમાં કામદારોની અછત છે કે કેમ તે આધારે વધારાના પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકાશે. તે સિવાય પણ વિવિધ યોગ્યતા મુજબ વધુ પોઇન્ટ મેળવી શકાશે.
સરકારે પોલિસી પેપરમાં કહ્યું હતું કે આગળના માપદંડ સિસ્ટમ જેમ જેમ વિકસતી જશે તેમ જાહેર કરાશે. વય અથવા અનુભવના આધારે પણ અમુક પોઇન્ટ અપાશે. માઇગ્રેશન એડવાઇઝરી કમિટી કયા વ્યવસાયમાં સ્ટાફની તંગી છે તે નક્કી કરાશે અને તે વ્યવસાય માટે જરૂરી કર્મચારીઓ લાવવા માટે નિયમો હળવા કરાશે.
આ યોજનામાં હાલમાં યુકેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પોઇન્ટ્સ બેઝ્ડ સિસ્ટમ દ્વારા આવરી લેવામાં આવશે અને વૈજ્ઞાનિકો, સ્નાતકો, એનએચએસના કર્મચારીઓ અને કૃષિ ક્ષેત્રના લોકો માટે અલગ પહેલ કરવામાં આવશે.
બ્રિટન તેની બ્રેક્ઝિટ પછીની પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન સીસ્ટમ દ્વારા વિશ્વભરના ઉચ્ચ કુશળ કામદારો માટે પ્રવેશને પ્રાધાન્ય આપશે અને “યુરોપથી સસ્તી મજૂરી”નો અંત લાવશે. આમ હવે બધા દેશો માટે સમાન નિયમ હશે. જોકે ઇયુ નાગરિકોને છ મહિના સુધી વિઝિટર તરીકે બ્રિટનમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર રહેશે નહીં.
એમએસીનું અનુમાન છે કે સરકારના આ નવા નિયમો વહેલા લાગુ કરાયા હોત તો 2004થી યુકે આવેલા યુરોપિયન ઇકોનોમિક એરિયાના લગભગ 70% નાગરિકો વિઝા માટે પાત્ર બન્યા હોત નહીં. યુરોપિયન યુનિયનમાંથી મોટા પાયે દેશમાં ઇમિગ્રેશન થતા બ્રિટનના લોકોએ બ્રેક્ઝિટ માટે મત આપ્યો હતો.આ કાયદો આવતા એમ્પલોયરે દેશના 1.3 મિલિયન બેરોજગાર લોકોમાંથી ભરતી કરવી પડશે અથવા તો હાલના સ્ટાફને જાળવી રાખવા વધુ વેતન ચૂકવવુ પડશે. જો કે, ઉદ્યોગના અગ્રણીઓએ ચેતવણી આપી હતી કે કેર સીસ્ટમ, ખેડૂતો, બિલ્ડરો અને હોસ્પિટાલિટી સેક્ટર માટે નવા નિયમો ‘સંપૂર્ણપણે આપત્તિ’ લાવશે.