યુકેમાં સ્કીલ્ડ વર્કર વિઝા મેળવનારા વિદેશી નાગરિકોમાં ભારતના લોકોની સંખ્યા સૌથી વધુ રહી છે. બ્રિટિશ હાઈ કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષની અંદર ભારતીય નાગરિકોને આશરે 65,500 સ્કીલ્ડ વર્કર વિઝા આપવામાં આવ્યા છે, જે 2019ની સરખામણીમાં 14 ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો દર્શાવે છે કે પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. યુકેએ 2021માં ઇશ્યૂ કરેલા કુલ સ્કીલ્ડ વર્કર વિઝામાં ભારતીય નાગરિકોનો હિસ્સો 43 ટકા જેટલો ઊંચો રહ્યો છે.

યુકેમાં કામ કરવા માટે હવે અનેક લિગલ રૂટ આપવામાં આવે છે. તેમાં સ્કીલ્ડ વર્કર રૂટ, ગ્રેજ્યુએટ રૂટ અને હેલ્થકેર વર્કર રૂટ સામેલ છે. યુકેની હોમ ઓફિસના જણાવ્યા મુજબ વિદેશી નાગરિકોને 2020થી ઇશ્યૂ કરવામાં આવેલા યુકે સ્કીલ્ડ વર્કર વિઝાની સંખ્યામાં 110 ટકાનો  મોટો વધારો થયો છે. આ વિઝામાં સૌથી વધુ ફાયદો ભારતીયો અને નાઇજિરિયાના લોકોને થયો છે.

2021માં કુલ 239,987 વર્ક સંલગ્ન યુકે વિઝા ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. તેમાં આશ્રિતો માટેના વિઝા પણ સામેલ છે. તેમાંથી કુલ 1.10 લાખ સ્કીલ્ડ વર્કર વિઝા હતા. આ સંખ્યા મહામારી પહેલા 2019માં ઇશ્યૂ કરવામાં આવેલી સ્કીલ્ડ વર્કર વિઝા કરતાં 25 ટકા વધુ છે.

રસપ્રદ બાદ એ છે કે અમેરિકાથી યુકેમાં આવેલા સ્કીલ્ડ વર્કર્સની સંખ્યા 2019ની તુલનાએ 25 ટકા ઘટી છે. પાકિસ્તાનના લોકોને ઇશ્યૂ કરવામાં આવેલા વિઝામાં 2019ની સરખામણીમાં 62 ટકાનો વધારો થયો છે.
હાલમાં ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની માટેની મંત્રણા ચાલુ છે અને તેના કારણે ઇમિગ્રેશનના નિયમો હળવા કરવા માટે બંને દેશો શક્યતા વિચારી રહ્યા છે. ગયા વર્ષમાં ભારત અને યુકેએ ઇન્ડિયા -યુકે માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. તેના હેઠળ 3000 યુવા સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ બંને દેશમાં કામનો અનુભવ મેળવે તેવી યોજના છે. એપ્રિલ 2022થી તેનો અમલ કરવામાં આવે તેવી શક્યતા છે.