વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે દેશ લૉકડાઉનમાં હોવા છતાં યુકેમાં કોરોનાવાયરસથી સાત હજાર લોકો મરી શકે છે. ઇમ્પિરિયલ કૉલેજ લંડનના એક પેપરમાં આગાહી કરવામાં આવી છે કે દેશ ચીનની જેમ જ અનુસરશે તો દેશમાં 4,7૦૦ થી 7,100 લોકોના મોતની શક્યતા જોવાઈ રહી છે. બની શકે છે કે આપણે એક જ દિવસમાં 210થી 330 લોકોને મૃત્યુ પામતા જોઇશું અને સંભવત: તે દિવસ આગામી રવિવારે 5 એપ્રિલનો હોઇ શકે છે, તેવું અનુમાન છે.

અધ્યયનમાં એવું માનવામાં આવ્યું છે કે મૃત્યુનો સાચો આંકડો 5,7૦૦ની આસપાસ હશે. ડૂમ્સ-ડે સીનારીયોમાં 20,000 લોકો મરી શકે છે. સરકારના અગ્રણી કોવિડ-19 સલાહકારો પૈકીના એક, પ્રોફેસર નીલ ફર્ગ્યુસન દ્વારા પ્રકાશિત આ દાવામાં ચેતવણી આપવામાં આવી હતી કે જો લોકોને ઘરે રહેવા દબાણ ન કરવામાં આવે તો હજારો લોકો મરી શકે છે.

તે જ યુનિવર્સિટીના એન્જિનિયર પ્રોફેસર ટોમ પાઇકે ચીનને લોકડાઉન કર્યા પછી ચીનના મૃત્યુ દરની તુલના આઠ દેશો સાથે કરી હતી. જે મુજબ યુ.એસ.માં 41,000 લોકો, સ્પેનમાં 60,000, ઇટાલીમાં 32,000 અને ફ્રાન્સમાં 23,000 લોકો મરી શકે છે. વિશ્વભરના દેશોએ તેમના નાગરિકોને લોકડાઉનમાં રાખીને આપત્તિને ટાળી છે અને જો તેમ થયુ ન હોત તો 40 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હોત.

ઇમ્પીરીયલના બીજા એક અભ્યાસમાં જણાવાયુ છે કે વિશ્વભરમાં એક બિલીયનથી વધુ લોકો કેટલાક પ્રકારનાં લોકડાઉનનાં સ્વરૂપમાં છે અને કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા 500,000ની આસપાસ વધી ગઈ છે. પરંતુ નાટકીય પગલાંથી લાખો લોકોનો જીવ બચાવવામાં આવી રહ્યો છે. જો વાયરસની ચકાસણી ન કરવામાં આવે તો વિશ્વની તમામ સાત બિલીયન લોકોને ચેપ લાગ્યો હોત.