કીવમાં રશિયાએ ટીવી ટાવર પર હુમલો કર્ય હતો. REUTERS/Carlos Barria

યુક્રેન પરના આક્રમણના સાતમાં દિવસે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને બીજા ક્રમના સૌથી મોટા શહેર ખારકીવ પર ભીષણ હવાઇ અને મિસાઇલ હુમલા ચાલુ રાખ્યા હતા. ખારકીવની મિલિટરી એકેડમી અને પોલીસ હેડક્વાર્ટરને ધ્વંસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કીવમાં ટીવી ટાવરને જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો.
બીજી તરફ યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે, પહેલા 6 દિવસમાં રશિયાના 6000 સૈનિકો માર્યા ગયા છે. ઝેલેન્સ્કીએ મંત્રણા માટે યુદ્ધવિરાની પૂર્વશરત રાખી હતી.

તેમણે કહ્યું હતું કે, રશિયા ક્યારેય યુક્રેન પર બોમ્બ અને હવાઈ હુમલા કરીને કબ્જો નહીં કરી શકે.રાજધાની કીવ પર જે રીતે હુમલો થઈ રહ્યો છે તે જોતા લાગે છે કે, રશિયામાં બેઠેલા કેટલાક લોકોને કીવ અંગે અને યુક્રેનના લોકોના ઈતિહાસ અંગે કોઈ જાણકારી નથી.આ લોકોએ રશિયાની સેનાને આદેશ આપેલો છે કે, યુક્રેનના ઈતિહાસ અને યુક્રેનના અસ્તિત્વને ખતમ કરી નાંખો.

બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં રશિયાની 211 ટેન્કો, 862 બખ્તરિયા વાહનો, 85 તોપો, 40 રોકેટ લોન્ચર સિસ્ટમ તબાહ કરવામાં આવી છે.રશિયાના 30 વિમાનો તેમજ 31 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે.આ સિવાય 3 રશિયન ડ્રોન, 60 ફ્યુલ ટેન્કર અને બીજા 335 વાહનો પણ બરબાદ કરી દેવાયા છે.રશિયાની 9 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ પણ બરબાદ થઈ ચુકી છે.

યુક્રેનના ઘણા નાગરિકો પણ રશિયાને ટક્કર આપવા માટે યુક્રેનમાં રોકાઈ ગયા છે, જ્યારે મોટાભાગે મહિલાઓ અને બાળકો દેશ છોડી બીજા દેશમાં આશરો લઈ ચુકયા છે. અત્યાર સુધી 6.75 લાખ યુક્રેની નાગરિકો દેશ છોડી ચુકયા છે.
ખારકીવ પર રશિયાનો ડબલ એટેક થઈ રહ્યો છે.ખારકીવ પર બોમ્બમારાની સાથે સાથે હવે રશિયન સેનાએ પોતાના પેરાટ્રુપર્સ ઉતાર્યા હતા. કીવના મીડિયાના રિપોર્ટ પ્રમાણે રશિયન રોકેટ વડે મિલિટરી એકેડમીને ટાર્ગેટ કરાઈ છે અને્ તેના કારણે લાગેલી આગ બૂઝાવતા નવ કલાક જેટલો સમય થયો હતો.બીજી તરફ યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે, ખારકીવના પોલીસ હેડક્વાર્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો છે.તેમાં પણ આગ લાગી છે. ખારકીવના રસ્તા પર યુક્રેન અને રશિયાના પેરાટ્રુપર્સ સૈનિકો વચ્ચે આમને સામને જંગ ચાલી રહ્યો છે.