ગુજરાતના 12 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લાં બે દિવસમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં 12 ઇંચ સુધીના વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સોમવાર સવાર સુધીના 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ પડ્યો હતો. 30 તાલુકામાં બે ઇંચ સુધી અને 70 તાલુકામાં ઓછામાં ઓછા એક ઇંચ સુધી વરસાદ થયો હતો. સુરતમાં 3.11 ઇંચ, રાજકોટમાં 0.55, વડોદરામાં 0.12 અને અમદાવાદમાં 0.12 ઇંચ વરસાદ થયો હતો.
ઉત્તર ગુજરાતના વડાલીમાં ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે દાંતા પંથકમાં ૯ ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ઇડરમાં પાંચ, મેઘરજ-સતલાસણામાં ૪.૫ ઇંચ, તલોદમાં ૩, પ્રાંતિજમાં બે અને પોશીનામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માઉન્ટ આબુમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જામનગર અને જૂનાગઢ પંથકમાં ચાર ઇંચ વરસાદથી ચોમેર પાણી ભરાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેને લઇને નદીઓમાં નવા નીર આવવાથી નદીઓ જીવંત બનવા પામી હતી. 36 કલાકમાં અમીરગઢ તાલુકામાં 6 ઇંચ તેમજ દાંતા તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદ પડવાથી નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
મહેસાણા જિલ્લામાં શનિવારે સતલાસણા તાલુકામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ખેરાલુ, ઊંઝા, વિસનગર, વડનગર વિજાપુર, કડી જોટાણામાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો.
સૌરાષ્ટમાં કાલાવડમાં ૪.૩૩ ઇંચ, જોડીયામાં ૨.૮૦ ઇંચ, જામ જોધપુરમાં ૨.૪૦ ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના કેશોદમાં ૩.૮૨ ઇંચ, માણાવદરમાં ૩.૬૬ ઇંચ, મેંદરડામાં ૨.૭૬ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. જુનાગઢ પંથકમાં ધોધમાર વરસાદથી ગિરનારના પર્વતો પરથી ઝરણાં વહેતા થયા હતો.
