વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં સેનેટર જ્હોન કોર્નીનના નેતૃત્વમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. જેમાં સેનેટર માઈકલ ક્રેપો, સેનેટર થોમસ ટ્યુબરવિલે, સેનેટર માઈકલ લી, કોંગ્રેસમેન ટોની ગોન્ઝાલેસ અને કોંગ્રેસમેન જ્હોન કેવિન એલિઝી સીનિયર સામેલ હતા. સેનેટર જ્હોન કોર્નિન, ભારત અને ભારતીય અમેરિકનો પર સેનેટની બેઠકમાં સહ-સ્થાપક અને સહ-અધ્યક્ષ છે.
કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે વિશાળ અને વૈવિધ્યસભર વસતીના પડકારો હોવા છતાં ભારતમાં કોવિડ પરિસ્થિતિના ઉત્તમ સંચાલનની નોંધ લીધી. વડાપ્રધાને નોંધ્યું હતું કે દેશના લોકતાંત્રિક સિદ્ધાંતો પર આધારિત લોકોની ભાગીદારીએ છેલ્લી એક સદીના સૌથી ખરાબ રોગચાળાને સંચાલિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વડાપ્રધાને ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં યુએસ કોંગ્રેસના સતત સમર્થન અને રચનાત્મક ભૂમિકાની પ્રશંસા કરી હતી, જે સહિયારા લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે.
દક્ષિણ એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સહિત પરસ્પર હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ઉષ્માભરી અને સ્પષ્ટ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન અને મુલાકાતી પ્રતિનિધિમંડળે બંને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચે વ્યૂહાત્મક હિતોના વધતા સંકલનની નોંધ લીધી હતી અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સહયોગને વધુ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.