કોરોના વાઇરસના વધતા પ્રભાવને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે આ વાઇરસ સામે લડવા સંઘીય મદદ તરીકે 50 અરબ ડોલરની જાહેરાત કરી છે. અમેરિકામાં 20 વર્ષ બાદ કોઇ ચેપી રોગને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2000માં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને વેસ્ટ નીલે વાઇરસ નો સામનો કરવા માટે આવી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે આ જાહેરાત દરમિયાન કહ્યું કે આગામી અઠવાડિયાઓમાં આપણા જીવનમાં પરિવર્તન અને ઘણો ત્યાગ કરવો પડશે. આપણા આ ત્યાગથી લાંબા ગાળે ઘણો લાભ થશે. આગામી આઠ આઠવાડિયા આપણા માટે ઘણા મહત્વપૂર્ણ રહેવાના છે. આ સાથે જ તેમણે કોરોના સામે લડવા માટે દરેક રાજ્યમાં ઇમર્જન્સી કેન્દ્રો સ્થાપના કરશે. બીજી તરફ, દુનિયામાં કોરોના વાઇરસના કારણે કુલ 1 લાખ 45 હજાર 634 કેસ સામે આવી ચુક્યાં છે. ભારતીય સમય અનુસાર શનિવાર સવાર સુધીમાં કુલ 5436 લોકોના મોત નીપજ્યાં છે.

ટ્રમ્પ પર છેલ્લા ઘણા સમયથી 1988ના કાયદા અંતર્ગત ચેપી રોગ કોરોના વાઇરસને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવા દબાણ થઇ રહ્યું હતું. આ કાયદો સંઘીય ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (ફેમા)ને રાજ્ય સરકારોને ડિઝાસ્ટર ફંડ પુરુ પાડવું અને મદદ માટે ટીમને તૈનાત કરવાની પરવાનગી આપે છે. અમેરિકામાં આ પગલાનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને સંઘીય ઇમર્જન્સી જાહેર કતી વેળાએ પોતાના ભારત પ્રવેશનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું ભારતમાં પસાર કરેલા બે દિવસ ઘણા ખાસ રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા ઘણા સારા મિત્ર છે. તેમની સાથે સમય ગાળવાના મજા આવી. અમે સિમાળા ઓળંગી દરેક મુદ્દે ચર્ચા કરી.

ભારતીય સમય અનુસાર શુક્રવર રાત સુધી અમેરિકામાં કોરોના વાઇરસના કુલ 2 હજાર કેસ સામે આવ્યાં છે. જ્યારે 50 લોકોના મોત નીપજ્યાં છે. ટ્રમ્પે અમેરિકા બંદરો પર આવતા જાહજો પર પ્રતિબંધ મુકી દીધો છે. મેક્સિકો અને બીજા દેશ સાથે જોડાયેલી અમેરિકાની સરહદો પર હાઇ થર્મલ સ્કેનર લગાવામાં આવ્યાં છે. અમેરિકાની સેનાની સ્પેશિયલ મેડિકલ યુનિટને પણ પરિસ્થિતિ પર નજર રાખવા માટે એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે.

ટ્રમ્પે કહ્યું કે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ એક વેબસાઇટ તૈયાર કરી રહીં છે. તેના પર જઇ લોકો કોરોના વાઇરસના લક્ષણો સંબંધી માહિતી મેળવી પોતાની તબિયત અંગે ખુદ જાણી શકશે. ગૂગલે પણ ટ્વિટર પર તેની માહિતી આપી છે. બુલ્ગારિયાની સંસદે દેશમાં ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે. આ ઇમર્જન્સી 13 એપ્રિલ સુધી લાગુ રહેશે. અહી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 7થી વધીને 23 પહોંચતા આ પગલું ઉઠાવામાં આવ્યું.