પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાએ ભારત અને પાકિસ્તાન માટેની ટ્રાવેલ એડવાઇઝરીને હળવી કરી છે. કોરોનાના મોત અને નવા કેસોમાં ઘટાડાને પગલે ભારત માટેની ટ્રાવેલ એડવાઇઝરીને સૌથી ઊંચા ફોર લેવલથી ઘટાડીને લેવલ થ્રી કરવામાં આવી છે. લેવલ-4માં ટ્રાવેલ નહીં કરવાની અને લેવલ થ્રીમાં ટ્રાવેલની પુનર્વિચારણા કરવાની સલાહ હોય છે. અમેરિકાએ પાકિસ્તાન માટે પણ ટ્રાવેલ એડવાઇઝરીને લેવલ-4થી ઘટાડીને લેવલ-3 કરી છે.

ભારતના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા ડેટા હેઠળ દેશમાં 30,093 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 125 દિવસમાં સૌથી ઓછા છે. કોરોના મોતની સંખ્યા પણ ઘટીને 374 થઈ હતી. ગયા મહિને અમેરિકાએ એડવાઇઝરી જારી કરી ત્યારે ભારતમાં દૈનિક 3,00,000 કેસ સાથે કોરોનાની બીજી લહેર ચાલતી હતી.

અમેરિકાએ પાકિસ્તાન માટે પણ ટ્રાવેલ એડવાઇઝરીને લેવલ-4થી ઘટાડીને લેવલ-3 કરી છે. સોમવારે વિદેશ વિભાગ દ્વારા ભારત અને પાકિસ્તાન માટે ટ્રાવેલ એડવાઇઝરીને હળવી કરવાનો નિર્ણય આ વિસ્તારમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી હોવાનો સંકેત છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ જણાવ્યું હતું કે જો તમે એફડીઆ માન્ય વેક્સીનથી ફુલી વેક્સિનેટેડ હશો તો કોરોના સંક્રમણનું જોખમ ઘટી શકે છે. કોઇપણ ઇન્ટરનેશનલ ટ્રાવેલનું આયોજન કરતાં પહેલા સીસીડીની ભલામણોની સમીક્ષા કરો. સીડીસીએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે ભારતમાં ટ્રાવેલની ફેર વિચારણા કરો. ગુનેખોરી અને ત્રાસવાદીને કારણે વધુ સાવધાની રાખો.