મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કરાવ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેકસીન હવે આવી ગઇ છે. ૧૬ મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યુ હતું તે ઘડી આજે આવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઇ છે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ૧૬૧ કેન્દ્ર ઉપર ૧૬ હજારથી વધુ હેલ્થકેર વર્કરો કોરોના રસીકરણ હાથ ધરાશે તેમ જણાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના વેક્સિનેસન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ ત્યારે હેલ્થકેર વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી રહ્યું છે.
રૂપાણીએ કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ સફાઇકર્મીઓના સ્ટાફ જેમણે નવ મહિનાથી પણ વધારે સમયથી સતત ખડેપગે રહીને રાઉન્ડ ઘ ક્લોક રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી છે કોરોનાની બીમારીથી સપડાયેલા લોકોને બહાર કાઢવા દિવસ રાત જહેમત હાથ ધરી છે તેમને આ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાવ્યુ હતું. કોરોનાકાળમાં પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવતા પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે તમામ હેલ્થકેર વર્કરોનો કોરોના વેક્સિનેસન પર પ્રથમ હક છે તેના ભાગરૂપે જ તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રસીકરણ પ્રક્રિયામાં આવા બાહોશ હેલ્થકેર વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ જણાવતા રૂપાણીએ ઉમેર્યુ કે જયારે તબીબી જગત સાથે જોડાયેલ તજજ્ઞો કોઇપણ જાતના ડર વગર રસી લઇ રહ્યા હોય ત્યારે આપણે પણ કોઇપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેસન પ્રક્રિયા અનુસરીને તેનો લાભ લેવો જોઇએ. હાલ રસીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઇ રહેલી કોવિડશિલ્ડ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતા રૂપાણીએ કહ્યુ કે રાજ્યના નાગરિકો આ વેક્સિન પર પૂરો ભરોસો રાખીને આ રસી લે તથા પોતાને અને પરિવારને સુરક્ષિત કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના રસીકરણના પ્રાથમિકતા તબક્કામાં ૫.૪૧ લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવવામાં આવ્યા છે જેમાં ૪.૪૦ લાખ જેટલા હેલ્થકેર વર્કરોને કોવિડશિલ્ડ કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે. જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યના ૧૬૧ રસીકરણ કેન્દ્ર પર ૧૬ હજારથી વધુ લોકોમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ રસીકરણ માટે રાજ્યમાં ૧૭૧ર૮ વેકસીનેટર્સ, ર૭૯૩૪ સેશન સાઇટસ અને રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટસ તૈયાર કરવામાં આવેલા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ વેકસીનેશનનો આરંભ થયો છે. આ વેકસીન લેનારા આરોગ્ય કર્મીઓ-તબીબોને કોરોના વેકસીન બેચ શોલ્ડર લગાવીને આગવી ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવી હતી.