ભારત સરકારે ઓક્સફર્ડ કોવિડ-19 વેક્સિનના 11 મિલિયન ડોઝની ખરીદી માટે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ઓર્ડર આપ્યો હતો. કોવિશીલ્ડ નામની આ વેક્સિન માટે સરકારે ડોઝ દીઠ રૂ.210ના ભાવે ઓર્ડર આપ્યો હતો, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

સોમવારથી વેક્સિનનો સપ્લાય ચાલુ થઈ ગયો હતો. ઓર્ડર મુજબ વેક્સિનનો ભાવ ડોઝ દીઠ રૂ.200 છે અને તેમાં રૂ.10ના જીએસટી સાથે સરકારને 210માં વેક્સિન પડશે. કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ પ્રારંભમાં 60 કન્સાઇનમેન્ટ પોઇન્ટ્સ પર મોકલવામાં આવશે અને ત્યાંથી વિતરણ થશે.

સરકાર ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિન કોવેક્સિનની ખરીદી માટે પણ ઓર્ડર આપ્યો હોવાનું માનવામાં આવે છે. ભારત આ બંને કંપનીઓની વેક્સિનને મંજૂરી આપેલી છે. સરકારે આગામી છથી આઠ મહિનામાં 300 મિલિયન લોકોના રસીકરણ માટે 600 મિલિયન ડોઝ વેક્સિનની ખરીદીની યોજના બનાવી છે. ભારતમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી ચાલુ થશે. ભારતમાં કોરોના વેક્સિનના કુલ કેસની સંખ્યા હાલમાં આશરે 10.5 મિલિયન છે.