ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનાનો શુક્રવારે મૃત્યુઆંક વધીને 19 થયો હતો. શુક્રવારે ઘાયલ થયેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બુધવારે સર્જાયેલી આ દુર્ઘટનમાં બે ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું
એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ ઘાયલ વ્યક્તિઓમાંથી એક દહેવનના રહેવાસી, પિસ્તાળીસ વર્ષીય નરેન્દ્રસિંહ પરમારનું શુક્રવારે મૃત્યુ થયું હતું. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, ગુરુવાર રાત સુધીમાં અઢાર મૃતદેહો મળી આવ્યા હતા અને ત્રીજા દિવસે પણ કામગીરી ફરી શરૂ થઈ હતી, જેમાં સ્થળ પર રોકાયેલી ટીમો દ્વારા ગુમ થયેલા બે વધુ વ્યક્તિઓને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતાં.
ગુરુવારે, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પુલ તૂટી પડવાના સંદર્ભમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતાં.
આ દુર્ઘટનામાં નવ લોકોને બચાવી લેવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ પણ થયા હતાં. બે થાંભલાઓ વચ્ચેના પુલનો આખો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેનાથી બ્રિજ બે ટુકડા થઈ ગયો હતો. આ બ્રિજ પાદરા નજીક આવેલો છે. પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા અડધો ડઝન વાહનો નદીમાં ખાબક્યા હતા. તેમાં બે ટ્રક, બે વાન, એક ઓટોરિક્ષા અને એક ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. બે અન્ય વાહનો જે ખતરનાક રીતે પડવાની નજીક આવી ગયા હતા તેમને સુરક્ષિત સ્થળે ખેંચીને લઈ જવામાં આવ્યા હતા. નદીમાં પડી ગયેલા ટુ-વ્હીલર પર સવાર ત્રણ વ્યક્તિઓ તરીને સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને દરેક મૃતકના પરિવારજનોને અનુક્રમે 2 લાખ અને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને કહ્યું હતું કે રાજ્ય સરકાર જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે.
ગુજરાતના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પુલ ૧૯૮૫માં બનાવવામાં આવ્યો હતો અને જરૂર પડ્યે સમયાંતરે તેની જાળવણી કરવામાં આવતી હતી. આ ઘટના પાછળના ચોક્કસ કારણની તપાસ કરાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટેકનિકલ નિષ્ણાતોને સ્થળ પર પહોંચવા અને બ્રિજ ધરાશાયી થવાના કારણની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ ઘટના સવારે લગભગ 7.30 વાગ્યે બની હતી. વડોદરા ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીં.
વડોદરા જિલ્લામાં પાદરા-જંબુસર વચ્ચે આવેલ લગભગ ૯૦૦ મીટર લાંબા ગંભીરા પુલમાં ૨૩ થાંભલા છે અને તે ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડે છે. તેનું ઉદ્ઘાટન ૧૯૮૫માં થયું હતું.
