Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ત્રણ વર્ષ માટે પોતાની જાતને ક્રિકેટ રમવા સખત રીતે તૈયાર કરી રહ્યો છે અને તે બદલાવના તબક્કામાં આવ્યા બાદ પોતાના વર્કલોડની પુન:સમીક્ષા કરશે. આડકતરી રીતે કોહલીએ વધુ પડતા કાર્યબોજને લઈને પોતાની વાત રજૂ કરી છે અને આગામી ક્રિકેટ વિશ્વ કપ બાદ તે વધુ ક્રિકેટ રમવા અંગે યોગ્ય નિર્ણય કરશે.

વિશ્વના પ્રથમ હરોળના બેટ્સમેન કોહલીના મતે ભારતીય ક્રિકેટનું વિરાટ ચિત્ર તે જોઈ રહ્યો છે. આગામી ત્રણ વર્ષમાં બે ટી20 વિશ્વ કપ તેમજ 50 ઓવરનો વન-ડે વિશ્વ કપ યોજાશે. આ ટૂર્નામેન્ટ્સ માટે વિરાટ તનતોડ મહેનત કરી રહ્યો છે અને ત્યારબાદ તે ક્રિકેટની ત્રણ પૈકી બે જ ફોર્મેટમાં રમવાનું પસંદ કરશે તેમ ટીમ ઈન્ડિયાના કેપ્ટને જણાવ્યું છે.

‘મારી માનસિકતા મોટું ચિત્ર જોવાની છે કારણ કે હું સખત ત્રણ વર્ષ માટે મારી જાતને તૈયાર કરી રહ્યો છું અને ત્યારબાદ હું મારા કાર્યબોજ અંગે સમીક્ષા કરીશે,’ તેમ વિરાટ કોહલીએ તે 2021 વર્લ્ડ ટી20 બાદ કોઈ ફોર્મેટ રમવાનું છોડી શકે છે કે કેમ તેવા સવાલના જવાબમાં જણાવ્યું છે.

ભારત હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને શુક્રવારથી બન્ને દેશો વચ્ચે બે ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. આ અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં કોહલીએ તેના વર્કલોડ અને ભવિષ્યની તૈયારી અંગે કેટલીક વાતો જણાવી હતી.

કોહલીએ જણાવ્યું કે, ‘થાક અને વર્કલોડ મેનેજમેન્ટ એવા મુદ્દા છે જેની દરેક સ્તરે ચર્ચા કરવી જરૂર છે. આ અંગેના સંવાદથી તમે બચી શકો નહીં. છેલ્લા આઠ વર્ષથી વર્ષમાં સતત ૩૦૦ દિવસ રમી રહ્યો છું જેમાં પ્રવાસ અને પ્રેક્ટિસ દિવસનો પણ સમાવેશ થાય છે. મેચ અગાઉ તિવ્ર તાણ રહેતું હોય છે અને તેનાથી નુકસાન થાય છે.’

કોહલીએ સ્વીકાર્યું હતું કે સમયાંતરે મળતા બ્રેકથી તેને ફાયદો થયો છે. તમામ ફોર્મેટમાં રમતા ખેલાડીઓ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ વ્યક્તિગત રીતે સમયાંતરે વધુ બ્રેક મેળવવાનું પસંદ કરતા હોય છે. કેપ્ટનની જવાબારી સરળ નથી, પ્રેક્ટિસ સત્રમાં પણ એ જ તિવ્રતા રાખવાથી તમને નુકસાન થાય છે.

કોહલીએ આગામી ત્રણ વર્ષ વ્યસ્ત કાર્યક્રમ માટે પોતાને સખત રીતે તૈયાર કરી રાખ્યો હોવાનું જણાવ્યું છે જો કે ત્યારબાદ તે વધુ ક્રિકેટ રમવાને લઈને સમીક્ષા કરશે અને ત્યારની સ્થિતિ મુજબ નિર્ણય કરશે.