Amir Khan
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
વિશ્વભરમાં ફિલ્મો જોવાના શોખિનોમાં બોલીવૂડના સ્ટાર અભિનેતા આમિર ખાનનો એક અનોખો ચાહક વર્ગ છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનની નવી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા તાજેતરમાં જ રિલિઝ થઈ  છે. ફિલ્મની રિલિઝ પૂર્વે આમિરની ઠેકડી ઊડાવનારા અને વિરોધ કરનારા લોકોની યાદીમાં સતત વધારો થઈ રહ્યો છે. બોલીવૂડમાં જાહેરમાં આમિરનો વિરોધ કરવા કઈ તૈયાર નથી, પરંતુ એક્ટર અનુ કપૂરે પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી છે.
પોતાની નવી ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિર ખાનનું નામ પડતાં જ અનુ કપૂરે નારાજગી વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે, કોણ આમિર ખાન? હું નથી ઓળખતો કહીને વાત બદલી નાખી હતી.
અનુ કપૂર પોતાની નવી ફિલ્મ હમ દો હમારે બારહના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં ગયા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને સવાલ પૂછ્યો હતો કે, આમિરની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા રિલિઝ થઈ રહી છે… સવાલ આગળ વધે તે પહેલાં જ અનુ કપૂરે જવાબ આપ્યો હતો. તે કોણ છે? હું નથી ઓળખતો. હું ફિલ્મો જોતો નથી. અનુના મેનેજરે વિવાદ રોકવા માટે વચ્ચે ઝંપલાવ્યું હતું અને નો કોમેન્ટ કહીને સંભાળી લેવા પ્રયાસ કર્યો હતો. જોકે, અનુ કપૂર પોતાની વાતને વળગી રહ્યા અને જણાવ્યું, નો કોમેન્ટ્સ નહીં. હું ફિલ્મો જોતો નથી. મારી નહીં અને બીજાની પણ નહીં. મને હકીકતમાં ખબર નથી. તો પછી હું કઈ રીતે જવાબ આપી શકું. 1979ના વર્ષમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ કાલા પત્થરથી અનુ કપૂરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. છેલ્લે ઈમરાન હાશમી અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ચહેરેમાં તે જોવા મળ્યા હતા. તાજેતરમાં તેમની વેબ સિરિઝ ક્રેશ કોર્સ સ્ટ્રીમ થઈ રહી છે.