ભારતના ગૃહ તથા સહકાર પ્રધાન અમિતભાઈ શાહે શનિવારે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે રૂ. ૩૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સહકારી ક્ષેત્રે જોડાયેલા ખેડૂતોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં સહકારના માધ્યમથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના નિર્ધાર સાથે પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપીને નવી હરિયાળી ક્રાંતિ શરૂ થઈ છે. જ્યારે પેક્સના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા આગામી પાંચ વર્ષમાં નવા ૩ લાખ પેક્સ (પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી) બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

ઈફકોના નવા પ્રવાહી ખાતરથી અનેકવિધ ફાયદા ખેડૂતો તથા ખેતીક્ષેત્રને થશે. તેનાથી ધરતી માતા સુરક્ષિત થશે, જમીનમાં કેમિકલ અને ઝેર નહીં ભળે, ખેડૂતો સામે આજે જમીનને ફળદ્રુપ રાખવાનો જે પડકાર છે, તેમાંથી મુક્તિ મળશે. નેનો ડી.એ.પી. જમીનમાં નથી ઉતરતું, માત્ર છોડમાં જ રહે છે. તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય, ઉત્પાદન વધશે. વળી, તેનો ભાવ ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે. તેનાથી કેન્દ્ર સરકાર પર સબસિડીનો બોજ ઘટશે, યુરિયા ખાતરની આયાત ઘટશે અને ભારતને કૃષિ તથા ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે, તેમાં મદદ મળશે. આગામી એક વર્ષમાં ત્રણ તબક્કામાં પ્રોડક્શન યુનિટ શરૂ થઈ જશે. આ યુનિટમાં ૫૦૦ એમ.એલ.ની બે લાખ બોટલ પ્રતિદિન ઉત્પાદિત થશે. વર્ષે છ કરોડ નેનો ડી.એ.પી. બોટલના ઉત્પાદનથી છ કરોડ ડી.એ.પી ખાતરની બોરીઓની આયાત નિવારી શકાશે અને ખાતર ઉપર સરકાર દ્વારા અપાતી ૧૦ હજાર કરોડની સબસિડીનો બોજ પણ ઘટશે. જો કે આ સબસિડીથી બચેલી રકમ આખરે ખેડૂતો માટે જ ઉપયોગમાં લેવાશે.

LEAVE A REPLY

17 − fifteen =