વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરતાં સૈનિકોને સંબોધન કર્યું હતું. (વિડિયો સ્ક્રીમમાંથી સ્ક્રીનશોટ) (PTI Photo)

જેસલમેરમાં ભારતના જવાનો સાથે દિવાળી મનાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનનુ નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, વિસ્તારવાદ જુની પુરાણી વિચારધારા છે અને તેમાં એવી માનસિક વિકૃતિની ઝલક જોવા મળે છે જેનાથી આખી દુનિયા પરેશાન છે.

મોદીએ કહ્યું હતું કે, આમ તો ભારત સમજણપૂર્વક અને બીજાને સમજાવીને આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે પણ કોઈએ જો ભારતને અજમાવવાની કોશિશ કરી તો જડબાતોડ જવાબ મળશે. આજે દુનિયા જાણી રહી છે કે, ભારત પોતાના હિત સાથે કોઈ પણ પ્રકારનુ સમાધાન નહીં કરે.

તેમણે કહ્યું હતું કે, આજે ભારત પાસે કદ, જુસ્સો અને તાકાત છે તે ભારતીય સેનાના સૈનિકોના પરાક્રમના કારણે છે. આજે ભારત પોતાના સૈનિકોના કારણે વૈશ્વિક સ્તરે પોતાની વાત મજબૂતાઈથી મૂકી શકે છે.આપણને ઈતિહાસમાંથી જાણવા મળ્યુ છે કે, જે રાષ્ટ્રો પાસે આક્રમણ કરનારાઓનો મુકાબલો કરવાની ક્ષમતા છે તે જ દેશો આગળ વધ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે દેશો વચ્ચેનો સહયોગ વધ્યો હોય પણ આપણે ભૂલવું ના જોઈએ કે સુરક્ષા માટે આપણે સતર્ક રહેવું પડશે અને સુખી રહેવા માટે સજાગ રહેવું પડશે.

સૈનિકોને સંબોધન કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે હું તમારા માટે દરેક ભારતવાસીની શુભકામનાઓ અને પ્રેમ લઈને આવ્યો છું. દરેક વરિષ્ઠજનના આશીર્વાદ લઈને આવ્યો છું. તમે સૌ અભિનંદનના હકદાર છો. 2014માં વડાપ્રધાન બન્યા પછી પહેલી વખત સિયાચીન ગયો હતો. દિવાળીની ઉજવણી કરવા માટે તો ઘણા લોકોને આર્શ્ચય થયું હતું, પણ તમે જાણો છો. જો દિવાળી પર પોતાના લોકો વચ્ચે નહીં જાઉ તો ક્યાં જઈશ. એટલા માટે આજે પણ પોતાના લોકો વચ્ચે જ આવ્યો છું. તમે બરફના પહાડોમાં રહો કે રણપ્રદેશમાં. તમારા ચહેરા પરની ખુશી જોઈને મારી દિવાળી શુભ થઈ જાય છે.