ઉત્તર પ્રદેશના રામપુરના પૂર્વ રાજવી અને છેલ્લા નવાબ મુર્તઝા અલી ખાનના પરિવારના 220 ઓરડાઓવાળા ખાસ બાગ મહેલની અંદર આવેલા અને 1930ના દાયકામાં બાંધવામાં આવેલ સ્ટ્રોંગરૂમને ખોલવા માટે આખરે કોર્ટે આદેશ આપ્યો છે. આ સ્ટ્રોંગરૂમમાં મિલીયન્સ પાઉન્ડની સંપત્તી અને ઝવેરાત ભરેલા પડ્યા છે તેના અનુમાનને આધારે દાયકાઓથી તેનો કબ્જો મેળવવા કેસ ચાલી રહ્યો છે.

આ વિવાદના સમાધાન માટે ભારતીય અદાલતોએ લગભગ અડધી સદી લીધી છે. જેમાં ભાંગી પડેલા મહેલો, કેરીના બગીચા, શિકાર માટે રોકાવાની લોજ, ઝવેરાત અને ખાનગી રેલવે સ્ટેશન સહિતની અન્ય મિલ્કતોનો વારસો કોને મળવો જોઈએ તેની તકરાર ચાલે છે.

આ સ્ટ્રોંગરૂમ ખોલી તેની એક ઇન્વેન્ટરી બનાવવા અને તેમાંની મિલ્કતોનું મૂલ્યાંકન કરી તેના ભાગ પાડવા કવાયત ચાલી રહી છે. લગભગ 1 હજાર પ્રાચીન તલવારો અને 400 જેટલી બંદૂકો પહેલાથી મળી આવી છે, પરંતુ ક્રિસ્ટલ સિંહાસન, ચાંદીની મૂર્તિ, રત્ન-એન્ક્ર્સ્ટેડ ક્રોકરી, ટેપસ્ટ્રીઝ, તાજ અને સોનાની બનેલા બેડનો સમાવેશ સ્ટ્રોમરૂમમાં હોવાની અફવા છે. છ ટનના સ્ટ્રોંગરૂમની દિવાલો 4 ફૂટ જાડી છે અને તેને બે-લોકનો દરવાજો છે.