(istockphoto.com)

ભારતની 1.3 બિલિયન વસતીમાંથી ઓછામાં ઓછા અડધો-અડધ લોકો આગામી ફેબ્રુઆરી સુધીમાં કોરોના સંક્રમિત બને તેવી શક્યતા છે, એમ કોરોના અંદાજ માટે બનાવવામાં આવેલી સરકારી સમિતિના એક સભ્યે સોમવારે જણાવ્યું હતું. ભારતમાં હાલ કોરોના કેસ 7.55 મિલિયન છે અને વિશ્વમાં તે અમેરિકા પછી બીજા ક્રમે છે.

સરકારની સમિતિના સભ્ય અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ફોર ટેકનોલોજી, કાનપુરના પ્રોફેસર મહિન્દ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે અમારા મેથેમેટિકલ મોડલના અંદાજ મુજબ આશરે 30 ટકા વસતીને હાલમાં કોરોનાનું સંક્રમણ થયું છે અને આ પ્રમાણ ફેબ્રુઆરી સુધીમાં વધીને 50 ટકા થઈ શકે છે. સમિતિના અંદાજ મુજબ સરકારના સેરોલોજિકલ સરવે કરતાં હાલમાં વાઇરસનો ફેલાવો ઘણો ઊંચો છે. સરકારના સરવે મુજબ સપ્ટેમ્બર સુધીમાં માત્ર 14 ટકા વસતીને કોરોના થયો હતો. સમિતિએ જણાવ્યું હતું કે જો સાવચેતી રાખવામાં નહીં આવે તો આ અંદાજ ખોટો પડી શકે છે.