ફાઇલ ફોટો (Photo by Stefan Rousseau - WPA Pool/Getty Images)

ભારત અને યુકે વચ્ચે મંગળવાર, 6મેએ આશરે ત્રણ વર્ષની લાંબી વાટાઘાટો પછી સીમાચિહ્નરૂપ મુક્ત વેપાર કરાર થયો હતો. બેક્ઝિટ પછી લંડન માટે આ સૌથી મહત્ત્વનો વેપાર કરાર છે. અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે વિશ્વના પાંચમાં અને છઠ્ઠા ક્રમના સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે આ ટ્રેડ ડીલ થઈ છે.

વેપાર કરારનો હેતુ ઉદાર બજાર પ્રવેશ અને વેપાર નિયંત્રણો હળવા કરી 2040 સુધીમાં દ્વિપક્ષીય વેપારમાં 25.5 બિલિયન પાઉન્ડ ($34 બિલિયન)નો વધારો કરવાનો લક્ષ્યાંક છે. 2024માં બંને દેશો વચ્ચે કુલ 42.6 બિલિયન પાઉન્ડનો વેપાર થયો હતો. ભારત બ્રિટનનો 11મો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું હતું કે આ સીમાચિહ્નરૂપ કરારો આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે તથા આપણા બંને અર્થતંત્રોમાં વેપાર, રોકાણ, વૃદ્ધિ, રોજગાર સર્જન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.

બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે આપણે હવે વેપાર અને અર્થતંત્ર માટે એક નવા યુગમાં પ્રવેશ્યા  છીએ. તેનો અર્થ એ છે કે યુકેના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે વધુ અને ઝડપથી આગળ વધવું પડશે. વિશ્વભરના અર્થતંત્રો સાથે આપણા જોડાણોને મજબૂત બનાવવા અને વેપાર અવરોધો ઘટાડવા એ આપણા દેશમાં મજબૂત અને વધુ સુરક્ષિત અર્થતંત્રની માટેની પરિવર્તનની યોજનાનો એક ભાગ છે.

આ કરારમાં વ્હિસ્કી, એડવાન્સ્ડ મેન્યુફેક્ટરિંગ પાર્ટસ તથા લેમ્બ, સૅલ્મોન, ચોકલેટ અને બિસ્કિટ જેવી ફૂડ પ્રોડક્ટ્સની આયાત જકાતમાં ઘટાડો કરવાની જોગવાઈ છે. તેમાં ઓટો આયાત માટે બંને બાજુના ક્વોટા માટે પણ સંમતિ સધાઈ છે.

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર અંગેની વાટાઘાટો જાન્યુઆરી 2022માં શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતની તારીખથી બ્રિટનમાં ચાર અલગ અલગ વડાપ્રધાનો આવ્યા હતાં અને તેનાથી તેમાં વિલંબ થયો હતો. ગયા વર્ષે બંને દેશોમાં સામાન્ય ચૂંટણીઓ થઈ હતી.

બ્રિટને કહ્યું હતું કે આ સોદો 2020માં યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ પછી તેને હસ્તાક્ષર કરેલ “સૌથી મોટો અને આર્થિક રીતે મહત્વપૂર્ણ” દ્વિપક્ષીય વેપાર કરાર છે.

ભારત વ્હિસ્કી અને તબીબી ઉપકરણોથી લઈને મશીનરી અને ઘેટાંના માંસ સહિતની બ્રિટિશ પ્રોડક્ટ્સ પરની ટેરિફમાં ઘટાડો કરશે. વ્હિસ્કી અને જિન પરની ટેરિફ 150%થી ઘટાડી 75% કરવામાં આવશે, અને પછી કરારના દસમા વર્ષ સુધીમાં તે ઘટીને 40% થશે, જેનાથી બ્રિટનના સ્કોચ વ્હિસ્કી ઉદ્યોગને ફાયદો થશે અને વિશ્વના સૌથી મોટા વ્હિસ્કી બજારમાં આ બેવરેજ સસ્તું થશે.

ભારત ક્વોટા હેઠળ ઓટોમોટિવ ટેરિફ પણ હાલની 100%થી ઘટાડીને 10% કરશે. અન્ય બ્રિટિશ માલ કે જેના પર ઓછા ટેરિફ લાગશે તેમાં કોસ્મેટિક્સ, એરોસ્પેસ, લેમ્બ, મેડિકલ ડિવાઇસ, સૅલ્મોન, ઇલેક્ટ્રિકલ મશીનરી, સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ અને બિસ્કિટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY