શ્રીલંકાની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે શનિવારે સોશિયલ મીડિયા પર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 37 વર્ષીય મેથ્યુઝે તેમાં જણાવ્યું કે, 17થી 21 જૂન, 2025 દરમિયાન ગાલે ખાતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ તેમની કારકિર્દીની અંતિમ ટેસ્ટ હશે. જોકે, તે વ્હાઇટ-બોલ ક્રિકેટ (ODI અને T20) માટે રમવા ઉપલબ્ધ રહેશે, જો દેશને તેમની જરૂર પડે. મેથ્યુઝે લગભગ એક વર્ષથી શ્રીલંકાની વ્હાઇટ-બોલ ટીમમાં સ્થાન મેળવ્યું નથી, પરંતુ તેણે ટેસ્ટ ક્રિકેટમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

મેથ્યુઝે જુલાઈ 2009માં ગાલે ખાતે પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 16 વર્ષની કારકિર્દીમાં તેમણે 118 ટેસ્ટ મેચોમાં 44.62ની સરેરાશથી 8,167 રન બનાવ્યા, જેમાં 16 સદી અને 45 અડધી સદી સામેલ છે. બોલિંગમાં તેમણે 33 વિકેટ ઝડપી, જેમાં તેમની મિડિયમ-પેસ બોલિંગ ટીમ માટે ઉપયોગી રહી હતી. મેથ્યુઝે 34 ટેસ્ટ મેચોમાં શ્રીલંકાનું સુકાની પદ સંભાળ્યું હતું, જેમાં 13માં જીત, 15માં હાર અને 6 ડ્રો થઇ હતી. તેના કેપ્ટન પદે શ્રીલંકાએ 2014માં ઇંગ્લેન્ડ સામે 1-0થી ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર મેથ્યુઝે જણાવ્યું હતું કે, ‘શ્રીલંકા માટે 17 વર્ષથી ક્રિકેટ રમવું એ મારું સૌથી મોટું સન્માન રહ્યું છે. રાષ્ટ્રીય જર્સી પહેરવાની લાગણી અનોખી છે. મેં ક્રિકેટને બધું આપ્યું, અને ક્રિકેટે મને આજની વ્યક્તિ બનાવ્યો છે. હું ચાહકો, શ્રીલંકા ક્રિકેટ અને કોચનો આભાર માનું છું, જેઓ મારી કારકિર્દીના ઉતાર-ચઢાવમાં સાથે રહ્યા. એક પ્રકરણ પૂરું થયું, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો મારો પ્રેમ હંમેશા રહેશે.’

LEAVE A REPLY