આવતા મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી ટેસ્ટ ક્રિકેટ સીરિઝ માટે ભારતીય ટીમની શનિવારે જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમના કેપ્ટનની જવાબદારી યુવા ખેલાડી શુભમન ગિલને સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં નવા યુગની શરૂઆત થઈ રહી હોવાનું કહેવાય છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ.રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ એસ્વરન, કરુણ નાયર, નિતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રૂવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમ માટેની પસંદગી સમિતિમાં સેક્રેટરી દેવજીત સાઈકિયા અને અજિત અગરકર સહિતના અન્ય સભ્યો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે નવી ટેસ્ટ ટીમમાં બે ગુજરાતી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને સ્થાન અપાયું છે. જોકે, બોલર મોહમ્મદ શમીને ઈજાઓને કારણે પાછલા બે વર્ષથી ટેસ્ટ સિરીઝ રમી રહ્યો નથી, આ વર્ષે પણ તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમશે, જેની શરૂઆત 20 જૂનથી થશે.

LEAVE A REPLY