અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ પર જતું એર ઇન્ડિયાનું વિમાન ગુરુવાર, 13 જૂને ટેકઓફ થયાની એક મિનિટમાં અમદાવાદના મેડિકલ કોલેજ સંકુલમાં ધડાકાભેર ક્રેશ થતાં ઓછામાં ઓછા 265 લોકોના દર્દનાક મોત થયા હતા. વિમાન ક્રેશ થવાની સાથે આગના ગોળામાં ફેરવાઈ હતું અને 241 મુસાફરો બળીને ભળથું થઈ ગયા હતાં. ભારતની આ સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનામાં મૃતકોમાં ક્રેશના સ્થળે કાળનો કોળિયો બનેલા લોકોનો પણ સમાવેશ થાય છે.
બોઇંગ 787 ડ્રીમલાઇનર (AI 171) વિમાનના એરપોર્ટ નજીક થયેલા અકસ્માતમાં વિશ્વશ કુમાર રમેશ નામના એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે બીજા તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર્સનો જીવનદીપ બુઝાઈ ગયો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર શહેરની સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજમાં ટ્વીન-એન્જિન વાઇડ-બોડી વિમાન ક્રેશ થયાના પછી ડેપ્યુટી પોલીસ કમિશનર કાનન દેસાઈએ મોડી રાત્રે જણાવ્યું હતું કે અમને મળેલા સંદેશ મુજબ 265 મૃતદેહો શહેરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે. ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેટલી હદે બળી ગયા હોવાના અહેવાલ છે.
આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓમાં ચાર એમબીબીએસ વિદ્યાર્થીઓ અને એક ડૉક્ટરની પત્નીનો સમાવેશ થાય છે. બહુમાળી હોસ્ટેલ બિલ્ડિંગમાં લંચ સમયે વિમાનના ભાગો ડાઇનિંગ હોલમાં અથડાયા બાદ ઘણા મેડિકલ વિદ્યાર્થીઓને ઘાયલ પણ થયા હતા.
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, 230 મુસાફરોમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન હતા. વિમાનમાં સવાર અન્ય 12 લોકોમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો હતા.
બોઇંગ 787 ડ્રીમલાઇનરના પાયલોટે ટેકઓફ પછી તરત જ ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ જારી કર્યો હતો, જે સંપૂર્ણ કટોકટીનો સંકેત આપે છે. આ ટ્વીન-એન્જિન વાઇડ બોડી વિમાને ઉડાન ભર્યાની થોડી મિનિટમાં ઝડપથી ઊંચાઈ ગુમાવીને ધડાકાભેર ક્રેશ થયું હતું. ક્રેશ થતાં સાથે ભયાનક આગ લાગી હતી અને કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યાં હતાં.
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક મેઘાણીનગરમાં સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજના ડોકટરો અને નર્સિંગ સ્ટાફના રહેણાંક નિવાસસ્થાન પાસે વિમાન ક્રેશ થયું હતું.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના એક નિવેદનમાં જણાવાયું હતું કે વિમાન અમદાવાદથી રનવે 23થી 1339 IST (0809 UTC) વાગ્યે રવાના થયું હતું. તેને ATCને MAYDAY કોલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ ATC દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ વિમાન દ્વારા આપવામાં આવ્યો ન હતો.
2020 પછી ભારતની બીજી સૌથી મોટી હવાઈ દુર્ઘટના હતી. 2020માં કેરળના કોઝિકોડ ખાતે લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ભીના રનવે પરથી લપસી ગઈ અને બે ટૂકડા થઈ ગઈ હતી. વિમાનમાં સવાર 190 લોકોમાંથી, બે પાઇલટ સહિત 21 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.
