ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ને વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય મળ્યાના થોડા દિવસમાં મોટો ફટકો પડ્યો હતો. પાર્ટીએ ગુરુવાર, 26 જૂને તેના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતાં. પાર્ટી આ કાર્યવાહી કરે તે પહેલા તેમણે ધારાસભ્ય પદ સિવાયના પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે AAP પછાત વર્ગોના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ ગઈ છે.
રાજ્યમાં AAPએ પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક જાળવી રાખી તેના ત્રણ દિવસ પછી જ ધારાસભ્યે આ પગલું ભર્યું હતું. બોટાદ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા મકવાણાએ ગાંધીનગરમાં જાહેરાત કરી હતી કે તેમણે પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય વિધાનસભામાં વ્હીપ પદેથી રાજીનામું આપ્યું છે.
કોળી (અન્ય પછાત વર્ગ) સમુદાયના ધારાસભ્યએ કહ્યું હતું કે તેઓ એક સામાન્ય AAP કાર્યકર તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.શું તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું પણ વિચારી રહ્યા છે તે પૂછવામાં આવતા, મકવાણાએ કહ્યું હતું કે તેઓ તેમના મતવિસ્તારના લોકો સાથે સલાહ લીધા પછી નિર્ણય લેશે.
તેમના આ પગલા પછી તરત જ, ગુજરાત AAP પ્રમુખ ઇસુદાન ગઢવીએ એક નિવેદન બહાર પાડીને મકવાણાના સસ્પેન્શનની જાહેરાત કરી હતી.
ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં AAPના પાંચ ધારાસભ્યો ચૂંટાયા હતાં. અગાઉ ભૂપેન્દ્ર ભાયાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં.
