FILE PHOTO - MONSOON RAINS

આ વર્ષે ચોમાસાએ સામાન્ય કરતાં નવ દિવસ વહેલા સમગ્ર દેશને આવરી લીધો છે. 29 જૂન સુધીમાં સમગ્ર દેશમાં વરસાદનું આગમન થઈ ચુક્યું છે. 2020 પછી પ્રથમ વખત સામાન્ય સમય પહેલા સમગ્ર દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચુકી છે. હવામાન વિભાગના ડેટા મુજબ 29 જૂન સુધીમાં સમગ્ર ભારતમાં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ થયો હતો.ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં અનુક્રમે 37% અને 24% વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ જૂનમાં વાવણીમાં પણ વધારો થયો હતો.

સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું હોય છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લેતું હોય છે. જોકે આ વર્ષે 24 મેએ કેરળમાં ચોમાસું આવી પહોંચ્યું હતું અને 29 જૂન સુધીમાં સમગ્ર દેશને આવરી લીધો છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસમાં ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી પણ કરી છે. IMDએ 1 જુલાઈ સુધી ઝારખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદનો રેડ એલર્ટ જારી કર્યો હતો. ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, દેહરાદૂન, ટિહરી, પૌરી, હરિદ્વાર અને નૈનિતાલ સહિતના ઉત્તરાખંડના વિવિધ જિલ્લામાં 29-30 જૂને ભારે વરસાદની ચેતવણી પણ જારી કરાઈ હતી. સતત વરસાદ અને ભારે વરસાદની આગાહી વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરાઈ હતી.

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું હતું અને તેનાથી હોટેલનું બાંધકામ કરી રહેલા કામદારો કેમ્પસાઇટને ભારે નુકસાન થયું હતું. ભૂસ્ખલ થયું ત્યારે સ્થળ પર 29 શ્રમિકો હતાં. તેમાંથી 20ને બચાવી લેવાયા હતા, જ્યારે નવ લાપતા બન્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે ભૂસ્ખલન થયું તે સ્થળથી લગભગ 18 કિમી દૂર તિલાડી શહીદ સ્મારક નજીક યમુના નદીના કિનારેથી બે શ્રમિકોનાના મૃતદેહ મળી આવ્યા હતાં.મજૂરો નેપાળી મૂળના હોવાનું કહેવાય છે. NDRF, SDRF અને પોલીસ કર્મચારીઓએ સર્ચ એન્ડ રેસ્ક્યુ અભિયાન ચાલુ કર્યું હતું. ભૂસ્ખલનના કાટમાળથી હાઇવે બ્લોક થઈ ગયો હતો, અને યમુનોત્રીથી પરત ફરતા યાત્રાળુઓને હાઇવે બંધ હોવાથી સલામત સ્થળોએ રહેવાનું કહેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY