ભારત અને અમેરિકા વચ્ચે તણાવપૂર્ણ વેપાર સંબંધો વચ્ચે વેપાર મુદ્દાઓની ચર્ચાવિચારણા કરવા માટે અમેરિકાના મુખ્ય વેપાર વાર્તાકાર બ્રેન્ડન લિંચ સોમવાર, 15 સપ્ટેમ્બરની રાત્રે દિલ્હી પહોંચ્યાં હતાં. તેઓ 16 સપ્ટેમ્બરે વેપાર મુદ્દાઓ અંગે ભારતીય પ્રતિનિધિમંડળ સાથે વિચારવિમર્શ કરશે.
લિન્ચની એક દિવસની ભારત મુલાકાતને પુષ્ટી આપતા અધિક વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું છે કે ઓફિસ ઓફ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ના વેપાર વાર્તાકાર બ્રેન્ડન લિંચ 16 સપ્ટેમ્બરે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ‘વેપાર મુદ્દાઓ’ પર ચર્ચા કરવા માટે એક દિવસ માટે ભારતની મુલાકાત લેશે. આ વેપાર વાટાઘાટોનો છઠ્ઠો રાઉન્ડ નથી, પરંતુ ફક્ત વેપાર મુદ્દાઓ પર ‘ચર્ચા’ કરવા માટેની બેઠક છે. દ્વિપક્ષીય સંબંધોના અન્ય પાસાઓ પર કોઈ વાતચીત થશે નહીં. 16 સપ્ટેમ્બરેની વાટાઘાટો છઠ્ઠા રાઉન્ડની મંત્રણા માટેની પૂર્વભૂમિકા તૈયાર કરશે.
અત્યાર સુધી ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે વાટાઘાટોના પાંચ રાઉન્ડ યોજાઈ ચૂક્યાં છે અને 25-29 ઓગસ્ટ દરમિયાન યોજાનારી છઠ્ઠી વાટાઘાટો અમેરિકાએ ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદ્યા પછી મુલતવી રખાઈ હતી.
બ્રેન્ડન લિંચ દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના સહાયક ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ છે. તેઓ આ પ્રદેશમાં અમેરિકાની વેપાર નીતિના અમલ તથા યુએસ-ઇન્ડિયા ટ્રેડ પોલિસી ફોરમ (TPF)ના સંચાલનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલસામનની આયાત પર 50 ટકા ડ્યૂટી લાદ્યા પછી તાજેતરના સપ્તાહોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં થોડા સુધારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા મારફત એક સપ્તાહમાં બે વખત ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થયું હતું અને બંને નેતાઓ વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા હતાં. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને “પ્રિય મિત્ર” ગણાવ્યાં હતાં અને વેપાર કરારના મોમેન્ટમ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મોદીએ પણ ભારત અને અમેરિકાને ‘નજીકના મિત્રો અને સહજ ભાગીદારો’ ગણાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન વેપાર વાટાઘાટો બંને રાષ્ટ્રો માટે નોંધપાત્ર તકોની સંભાવના ખોલશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ પુષ્ટિ આપી હતી કે નવી દિલ્હીની રાજદ્વારી ટીમ વાટાઘાટો કરી રહી છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધોને દૂર કરવા માટે વાટાઘાટો કરી રહ્યાં છે.
અગાઉ વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો આ વર્ષના નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના વેપાર કરારને આખરી ઓપ આપી શકશે. માર્ચ મહિનાથી આ વિષય પર ખૂબ જ ગંભીરતાથી ખૂબ જ સારા વાતાવરણમાં ચર્ચા ચાલી રહી છે, પ્રગતિ થઈ રહી છે અને પ્રગતિથી બંને પક્ષો સંતુષ્ટ છે.
