બહુપતિ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

હિન્દુ વારસા ધારાની જોગવાઈઓને પડકારી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે કોઈ સ્ત્રી હિન્દુ કાયદા હેઠળ લગ્ન કરે છે, ત્યારે તેનું “ગોત્ર” પણ બદલાય છે. હિન્દુ સમાજમાં કન્યાદાનની વિભાવના છે, જેના હેઠળ જ્યારે કોઈ સ્ત્રી લગ્ન કરે છે, ત્યારે તેનું ગોત્ર પણ બદલાય છે. સુપ્રીમ કોર્ટમાં એકમાત્ર મહિલા ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ આ અવલોકન કર્યાં હતાં.

સર્વોચ્ચ અદાલત સમક્ષ હિન્દુ વારસા ધારાની કલમ 15 અને 16ને પડકારવામાં આવી છે. આ કલમો વસિયતનામા વગર મૃત્યુ પામેલી નિસંતાન હિન્દુ મહિલાની મિલકતના વારસા સંબંધિત છે. આ ધારાની કલમ 15 મુજબ જ્યારે કોઈ હિન્દુ નિસંતાન મહિલા વસિયતનામા વગર મૃત્યુ પામે છે, ત્યારે તેની મિલકત તેના પોતાના માતાપિતાની જગ્યાએ તેના પતિના વારસદારોને મળે છે.

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે હજારોથી વર્ષોથી અસ્તિત્વમાં રહેલા હિન્દુ સામાજિક માળખુ અને તેના મૂળભૂત સિદ્ધાંતોને તોડી પાડવામાં તે સાવચેત રહેશે અને સાવધાનીપૂર્વક આગળ વધશે.

ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે હજારો વર્ષોથી અસ્તિત્વમાં રહેલા હિન્દુ સમાજના માળખાના ગૌરવને નુકસાન પહોંચાડશો નહીં. એક કોર્ટ તરીકે અમે તમને ચેતવણી આપી રહ્યાં છીએ. એક હિન્દુ સામાજિક માળખું છે અને તમે તેને તોડી પાડશો નહીં. અમે નથી ઇચ્છતા કે અમારા ચુકાદાથી હજારો વર્ષોથી ચાલી આવતી કોઈ પરંપરા તૂટી જાય. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે મહિલાઓના અધિકારો મહત્વપૂર્ણ છે, પરંતુ સામાજિક માળખા અને મહિલાઓને અધિકારો આપવા વચ્ચે સંતુલન હોવું જોઈએ

અરજદારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે પડકાર આવી છે તે જોગવાઈઓ મહિલાઓ સામે ભેદભાવપૂર્ણ છે. ફક્ત પરંપરાઓને કારણે મહિલાઓને સમાન વારસાના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે આ ધારાનો બચાવ કરીને આરોપ મૂક્યો હતો કે અરજદારો સામાજિક માળખાનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

 

LEAVE A REPLY