લાલ કિલ્લા
સોમવાર, ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયા બાદ આગની જ્વાળાઓ (PTI Photo)

દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પાસે સોમવાર, 10 નવેમ્બરેની સાંજે એક ચાલતી કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 વ્યક્તિના મોત થયાં હતાં અને 20 ઘાયલ થયાં હતાં. આ વિસ્ફોટને પગલે આજુબાજુના અનેક વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. વિસ્ફોટના પગલે દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં હાઇ એલર્ટ જારી કરાયો હતો અને શહેરના સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે સંભવિત ત્રાસવાદી હુમલા તરીકે આ બ્લાસ્ટની તપાસ ચાલુ કરી હતી અને પુલવામાના એક ડૉક્ટર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે વિસ્ફોટ થયેલી કાર ચલાવી રહ્યો હતો. વિસ્ફોટમાં ડૉ. ઉમર નબીનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે.

પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ એક ચાલતી હ્યુન્ડાઇ i20 કારમાં થયો હતો, જેમાં ત્રણ લોકો બેઠા હતાં. અમને ઘાયલોના શરીરમાં કોઈ પેલેટ મળ્યાં નથી, જે વિસ્ફોટમાં અસામાન્ય છે. અમે બધા એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ. દિલ્હી પોલીસે મોડી સાંજે કાર માલિક મોહમ્મદ સલમાનની અટકાયત કરી હતી અને તેમને વાહન વિશે પૂછપરછ કરી હતી, તેને દોઢ વર્ષ પહેલાં ઓખલામાં દેવેન્દ્ર નામના વ્યક્તિને વાહન વેચ્યું હતું. બાદમાં વાહન અંબાલામાં કોઈને વેચવામાં આવ્યું હતું અને તે ફરીથી પુલવામામાં તારિક નામના વ્યક્તિને વેચવામાં આવ્યું હતું.

દિલ્હી પોલીસ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) તમામ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ ચાલુ કરી હતી.

દિલ્હીની સરહદે આવેલા ફરીદાબાદમાં એક કાશ્મીરી ડૉક્ટરના ભાડાના રહેઠાણમાંથી લગભગ 360 કિલો શંકાસ્પદ એમોનિયમ નાઈટ્રેટ જેવી વિસ્ફોટક સામગ્રી તથા શસ્ત્રો અને દારૂગોળોનો જથ્થો મળી આવ્યાના કલાકો પછી દિલ્હીમાં વિસ્ફોટ થયો હતો.

આ ઘટના સ્થળના વાયરલ વીડિયોમાં મોટી ભીડ દેખાઈ રહી છે જેમાં અનેક વાહનો આગમાં સળગી રહ્યા છે. બીજા એક વિડીયોમાં એક દરવાજા ઉડી ગયેલી કાર, એક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત કાર, બીજી કારનો વિન્ડસ્ક્રીન તૂટેલો છે અને એક ઘાયલ માણસ જમીન પર પડેલો દેખાય છે. આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો રેલવે સ્ટેશનના ગેટ-1 પર થયો હતો.
ઘટનાસ્થળે લગભગ 20 ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા, અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ વિસ્તારમાં સામાન્ય ટ્રાફિક પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

આ આતંકવાદી કૃત્ય હતું કે નહીં તેની તાકીદે કોઇ માહિતી મળી શકી ન હતી. વિસ્ફોટનું સ્વરૂપ નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. લાલ કિલ્લો, જૂની દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં આવેલો છે. તે દિલ્હીના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે.

અગાઉ દિલ્હી નજીકથી એક ચોંકાવનારી વિસ્ફોટક જપ્તીમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમે હરિયાણાના ફરીદાબાદમાંથી 350 કિલો વિસ્ફોટક સામગ્રી (એમોનિયમ નાઈટ્રેટ) અને એક એસોલ્ટ રાઈફલ જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન 20 ટાઈમર, એક પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને એક વોકી-ટોકી સેટ પણ મળી આવ્યાં હતાં. આ વિસ્ફોટક સામગ્રી કાશ્મીરે ડોક્ટરે ભાડે રાખેલા મકાનમાંથી મળી આવી હતી. ફરીદાબાદમાં બીજા એક ઘરમાંથી 2,563 કિલો શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવ્યાં હતાં. બંને મકાનો જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ડૉક્ટર ડૉ. મુજમ્મીલ શકીલે ભાડે લીધાં હતાં. મુજમ્મીલ કટ્ટરપંથીઓને સંડોવતા “વ્હાઇટ-કોલર” આતંકવાદી ઇકોસિસ્ટમમાં મુખ્ય કડી તરીકે ઉભરી આવ્યો છે.

LEAVE A REPLY