વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે તેમની 75 ટકા સંપત્તિ સામાજિક કાર્યો માટે દાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હતું કે તેઓ પ્રમોટર તરીકે કામ કરવાનું બંધ કરશે અને ટ્રસ્ટી તરીકે સેવા આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની તાજેતરની વાતચીત પછી આ અંગેની જાહેરાત કરી હતી.
ફોર્બ્સ અનુસાર 72 વર્ષીય અનિલ અગ્રવાલની અંદાજિત કુલ સંપત્તિ લગભગ ૪.૯ અબજ ડોલર (લગભગ ૩.૬૬ લાખ કરોડ રૂપિયા) છે. ૩ ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટમાં અગ્રવાલે જણાવ્યું હતું કે તેમણે ગયા અઠવાડિયે ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન વડા પ્રધાન મોદીના “ગ્લોબલ એનર્જી લીડર્સ રાઉન્ડટેબલ”માં ભાગ લીધો હતો. અમેરિકામાં હૃદયરોગના હુમલાને કારણે ૪૯ વર્ષીય પુત્ર અગ્નિવેશના અવસાન પછી અગ્રવાલની આ પહેલી સત્તાવાર બેઠક હતી. પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન અગ્રવાલે પ્રમોટરની ભૂમિકામાંથી ઔપચારિક રીતે રાજીનામું આપવાના તેમના નિર્ણય વિશે જણાવ્યું હતું.
અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે “મેં તેમને જાણ કરવાની તક ઝડપી લીધી હતી કે મેં પહેલેથી જ જાહેરાત કરી છે કે મારી 75% સંપત્તિ સમાજને પરત કરીશ. હું પ્રમોટર તરીકે કામગીરી બંધ કરીશ અને ટ્રસ્ટી તરીકે કામ કરીશ.”
અનિલ અગ્રવાલની આગામી મોટી પરોપકારી પહેલ શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત છે.તેમણે જણાવ્યું હતું કે “ખૂબ જ નમ્રતાપૂર્વક, મારા સ્વર્ગસ્થ પુત્રની ઇચ્છાને ધ્યાનમાં રાખીને હું શિક્ષણ, આરોગ્યસંભાળ અથવા સમાજને લાભદાયક અન્ય કોઈપણ ક્ષેત્રમાં કંઈક મોટું કરવા માગુ છું. હું આવા પ્રયાસમાં રૂ.૧૦,૦૦૦ કરોડથી રૂ.૧૫,૦૦૦ કરોડનું રોકાણ કરવા માંગુ છું. આ ભાવનાની કદર કરવા બદલ હું પ્રધાનમંત્રીનો આભારી છું.”












