રાની મુખરજીએ બોલીવૂડમાં એક બ્રેક પછી ફરીથી પોતાનું સ્થાન જમાવ્યું છે. 1997માં ‘રાજા કી આયેગી બારાત’થી સિનેજગતમાં પદાર્પણ કરનારી રાનીએ કારકિર્દીનાં 30 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ નિમિત્તે તેણે સોશિયલ મીડિયામાં પોતાના અનુભવો જણાવ્યા હતા. તેણે આ પોસ્ટમાં પોતાની નાની શરૂઆત, કામ અને પ્રેમ માટે દર્શકોનો આભાર અને આજે પણ તે કઈ રીતે કેમેરા સામે નર્વસ થઈ જાય છે તે વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ વીત્યા એ તેને માનવામાં નથી આવતું, છતાં તેને આજે પણ વધુ કામ માટેની ભુખ છે.
રાનીએ લખ્યું કે, ‘30 વર્ષ અગાઉ હું કોઈ મોટા આયોજન સાથે સેટ પર આવી નહોતી. મેં અભિનેત્રી બનવાનું સપનું જોયું નહોતું, ફિલ્મોએ મને શોધી લીધી. આજે પણ મારી અંદર એ જ ગભરાયેલી યુવતી જીવે છે, જે પ્રથમવાર કેમેરા સામે ઊભી રહી હતી અને આશા રાખતી હતી કે ડાયલોગ ભૂલી ન જાઉં અને હું આ જગ્યા માટે જ બની છું.”
તે કહે છે કે, ‘રાજા કી આયેગી બારાત’માં મહિલાઓના સન્માન માટે લડતી યુવતીની ભૂમિકા ભજવવાથી તેને શિખવા મળ્યું કે સિનેમા ગ્લેમર કરતાં પહેલાં એક જવાબદારી છે.
તેણે 1990ના દસકાના પાછળના વર્ષોને જાદુઈ સમય ગણાવ્યો હતો, જ્યારે 2000ના દસકાની શરૂઆતમાં ‘સાથિયા’થી તેની કારકિર્દીમાં વળાંક લાવ્યો. ‘હમ તુમ’ જેવી ફિલ્મોએ તેને સમજાવ્યું કે મહિલાઓની ભૂમિકા મજાક મસ્તીભર્યા, તીખા અને સંવેદનશીલ — બધું એક સાથે હોઈ શકે છે. ‘બ્લેક’ વિશે રાનીએ કહ્યું કે સંજય લીલા ભણસાલી અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાથી તે પોતાની અંદર અજાણી ક્ષમતાઓ શોધી શકી હતી. તેણે લખ્યું હતું કે, ‘આજે પણ બ્લેક મારા જીવનનો સૌથી ભાવનાત્મક અનુભવ છે.’
તેણે ‘બંટી ઔર બબલી’, ‘નો વન કિલ્ડ જેસિકા’ જેવી ફિલ્મોનાં પાત્રોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દુનિયાને પડકારતી મહિલાઓ તરફ તે હંમેશા આકર્ષાય છે અને ‘મર્દાની’ સીક્વલ તેના દિલની ખૂબ નજીક છે. લગ્ન અને માતૃત્વ વિશે વાત કરતાં રાનીએ લખ્યું કે આ અનુભવોએ તેના વ્યક્તિગત જીવનને અસર નથી કરી, પરંતુ વધુ ફોકસ બનાવી છે. ‘મિસિસ ચટર્જી વર્સસ નોર્વે’ માટે મળેલા નેશનલ એવોર્ડ અંગે તેણે કહ્યું કે માતા બન્યા પછી આ ભૂમિકા ભજવવી તેમના માટે જીવન બદલનારો અનુભવ રહ્યો હતો. પોતાની 30 વર્ષની યાત્રા અંગે રાની કહે છે, “લાંબી સફળતા હંમેશા પ્રસ્તુત રહેવામાં નથી, પરંતુ ઈમાનદાર રહેવામાં છે. મેં હંમેશા દિલની વાત સાંભળી છે.” અંતમાં ચાહકોનો આભાર માનતાં તેણે લખ્યું હતું કે, ‘આજે પણ હું પોતાને નવોદિત કલાકાર સમાન માનું છું, વધુ મહેનત કરવા, નવા પડકાર સ્વીકારવા અને જીવનનો નવો અધ્યાય શરૂ કરવા આતુર છું.’













