અમેરિકાના કેલિફોર્નિયામાં 9 ફેબ્રુઆરીએ ગુમ થયેલા ભારતના 22 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેમાં કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા મૂળ કર્ણાટકનો હતો.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટે પુષ્ટિ આપી હતી કે પોલીસે મૃતદેહ શોધી કાઢ્યો હતો. કોન્સ્યુલેટે મૃતદેહને વહેલી તકે ભારત પરત મોકલવા માટે તમામ જરૂરી સહાયની ખાતરી આપી પણ હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે “આ ખૂબ જ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ.”
શ્રીનિવાસૈયા યુનિવર્સિટી કેમ્પસથી લગભગ એક કિલોમીટર દૂર છેલ્લે જોવા મળ્યા બાદ ગુમ થયા હતાં. આ પછી લેક અંઝા અને બર્કલે હિલ્સ વિસ્તારોની આસપાસ શહેરવ્યાપી શોધખોળ શરૂ કરાઈ હતી. કેમ્પસની નજીક ટિલ્ડેન રિજનલ પાર્ક નજીકના એક નિવાસસ્થાન પાસેથી તેમના પાસપોર્ટ અને લેપટોપ ધરાવતું એક બેકપેક મળી આવ્યું હતું. આ નિવાસસ્થાન પણ કેમ્પસની નજીક છે. ભારતીય સમુદાયે શ્રીનિવાસૈયાની શોધખોળ કરવા માટે ઓનલાઇન અભિયાન ચાલુ કર્યું હતું.
IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રીનિવાસૈયા બર્કલેમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યાં હતાં. તેમણે બેંગલુરુના શ્રી વાણી એજ્યુકેશન સેન્ટરમાં અભ્યાસ કર્યો હતો. શ્રીનિવાસૈયાના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ હાઇપરલૂપ માટે માઇક્રોચેનલ કૂલિંગ સિસ્ટમ અને તેની પદ્ધતિની શોધ માટે પેટન્ટ ધરાવતા છ લોકોમાંના આ વિદ્યાર્થી પણ હતો.












