રવિવારે કોલંબોમાં T20 વર્લ્ડ કપ મુકાબલા દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેમના પાકિસ્તાની સમકક્ષ સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો અને ગયા વર્ષે દુબઈમાં એશિયા કપ પછી અપનાવેલી નો હેન્ડશેક પોલિસી ચાલુ રાખી હતી.
મેચના એક કલાક પહેલા જ બીસીસીઆઈના એક અધિકારીએ પુષ્ટી આપી હતી કે “હાથ ન મિલાવવાની નીતિ ચાલુ રહેશે. મેચના અંત પછી પણ બંને ટીમોના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ હાથ મિલાવશે નહીં.
ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે આદર અને ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેના સાથે એકતા દર્શાવવા માટે આ એશિયા કપમાં નો હેન્ડશેક નીતિ અપનાવી હતી. ફરી એકવાર રવિવારે કોલંબોમાં ગ્રુપ A મુકાબલા માટે ટોસ દરમિયાન સૂર્યકુમાર અને પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ એકબીજાની અવગણના કરી હતી. ટોસ દરમિયાન બંને કેપ્ટનોએ એક વાર પણ એકબીજા સામે જોયું પણ ન હતું.













