ગુજરાતમાં મતદાર યાદી વિશેષ સઘન સુધારા (SIR) કવાયત પછી ચૂંટણી પંચે મંગળવાર, 17 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ ગુજરાતમાં મતદાતાની સંખ્યા 4.40 કરોડ રહી છે. આ યાદીમાં 3.95 લાખ નામ દૂર કરાયા હતાં.
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરીએ જણાવ્યું હતું કે અંતિમ મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ છે, જે ગયા વર્ષે 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદીના પ્રકાશન પછી 5.60 લાખ નામોનો ઉમેરો થયો દર્શાવે છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી લગભગ 74 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતાં, જેનાથી કુલ મતદારોની સંખ્યા 4.34 કરોડ થઈ ગઈ છે, જે અગાઉ 5.08 કરોડ હતી. તેથી ૪.૪૦ કરોડ મતદાતા સાથે અંતિમ મતદાર યાદીમાં ૫.૬૦ લાખ મતદારોનો ઉમેરો થયો છે.
મતદાર યાદીમાં નામનો સમાવેશ અથવા બાકાત રાખવા અંગેના વાંધા અને દાવાઓ 19 ડિસેમ્બર, 2025 અને 30 જાન્યુઆરી, 2026 ની વચ્ચે સબમિટ કરાયા હતાં. આ પછી ચૂંટણી અધિકારીઓએ વાંધાઓની ચકાસણી કરી હતી અને 10 ફેબ્રુઆરી સુધીમાં તેનો નિકાલ કર્યો હતો.
મુખ્ય ચૂંટણી અધિકારી હરીત શુક્લાએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ નાગરિકો આ અભિયાનમાં તેમના અભૂતપૂર્વ સહકાર બદલ કૃતજ્ઞતા અને અભિનંદનને પાત્ર છે. મતદાર યાદીમાં સુધારાનું આ કાર્ય ૩૪ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ૧૮૨ મતદાર નોંધણી અધિકારીઓ, ૮૫૫ સહાયક મતદાર નોંધણી અધિકારીઓ, ૫૦,૯૬૩ બીએલઓ (બૂથ લેવલ અધિકારીઓ) અને મોટી સંખ્યામાં સ્વયંસેવકોની સક્રિય ભાગીદારી દ્વારા નિર્ધારિત સમયમાં પૂર્ણ કરાયું હતું.
૧૯ ડિસેમ્બરે ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં મતદારોની કુલ સંખ્યા ૪.૩૪ કરોડ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જે અગાઉ ૫.૦૮ કરોડ હતી. આ કવાયતને કોંગ્રેસના બે નેતાઓએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી












