
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 17 ફેબ્રુઆરીએ મુંબઈના લોકભવન ખાતે દ્વિપક્ષીય બેઠક યોજીને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધારીને ‘વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી’ સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. વિશ્વમાં હાલની ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારમાં વધારો કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ કર્ણાટકના વેમાગલમાં એરબસ H125 હેલિકોપ્ટર બનાવવા માટે એક એસેમ્બલી લાઇનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ ખૂબ જ ખાસ સંબંધો ધરાવે છે. ફ્રાન્સ ભારતના સૌથી જૂના વ્યૂહાત્મક ભાગીદારોમાંનું એક છે અને પ્રેસિડન્ટ મેક્રોન સાથે મળીને અમે આ વ્યૂહાત્મક ભાગીદારીને અભૂતપૂર્વ ઊંડાણ અને ઉર્જા આપી છે. આ જ વિશ્વાસ અને સહિયારા દ્રષ્ટિકોણના આધારે આજે આપણે આપણા સંબંધોને ‘ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી’ તરીકે સ્થાપિત કરી રહ્યા છીએ.
H-125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇનનો ઉલ્લેખ કરી મોદીએ જણાવ્યું હતું કે અમને એ બાબતનો ગર્વ છે કે ભારત અને ફ્રાન્સ સાથે મળીને ભારતમાં વિશ્વના એકમાત્ર એવા હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈઓ સુધી ઉડવા માટે સક્ષમ હશે અને તેની સમગ્ર વિશ્વમાં નિકાસ કરાશે. વર્ષ 2026 ભારત અને યુરોપ વચ્ચેના સંબંધોમાં એક વળાંક છે. થોડા દિવસો પહેલા જ અમે યુરોપિયન યુનિયન સાથે ભારતના ઇતિહાસમાં સૌથી મોટા અને સૌથી મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.
વડાપ્રધાને ભારત-ફ્રાન્સ સંબંધોને વૈશ્વિક સ્થિરતા માટે એક મજબૂત બળ તરીકે ગણાવીને જણાવ્યું હતું કે આજે દુનિયા અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા વાતાવરણમાં ભારત-ફ્રાન્સ ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે એક બળ છે.
પોતાના ભાષણમાં મેક્રોને કહ્યું હતું કે ભારત ફ્રાન્સના સૌથી વિશ્વસનીય ભાગીદારોમાંનો એક છે.રાફેલ જેટથી લઈને સબમરીન સુધી અમે સંરક્ષણ સહયોગનો વિસ્તાર કરી રહ્યા છીએ. આપણા બંને દેશો કાયદાના શાસનમાં દ્રઢપણે માને છે અને છેલ્લા કેટલાંક વર્ષોમાં તે દર્શાવવામાં આવ્યું છે.
મેક્રોન અને નરેન્દ્ર મોદીએ મુંબઈના લોકભવન ખાતે દ્વિપક્ષીય બેઠક યોજાયેલી બેઠકમાં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા તથા નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વધુ વૈવિધ્યીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. પીએમ મોદી અને મેક્રોને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
તેઓએ ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ 2026નો પ્રારંભ કરાવ્યો હતો. બંને દેશોના બિઝનેસ લીડર્સ, સ્ટાર્ટ-અપ્સ, સંશોધકો અને અન્ય ઇનોવેટરના મેળાવડાને સંબોધિત કરશે.
અગાઉ ફ્રાન્સના પ્રેસિડન્ટ મેક્રોન ભારતની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે મંગળવાર, 17 ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચ્યાં હતાં. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ફ્રેન્ચ નેતાનું સ્વાગત કર્યું હતું.
17 થી 19 ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાત દરમિયાન તેઓ ભારત દ્વારા આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે. મેક્રોનની આ ભારતની ચોથી મુલાકાત છે અને મુંબઈની તેમની પ્રથમ મુલાકાત છે. મુંબઈમાં ઇમેન્યુઅલ મેક્રોન વહેલી સવારે કોસ્ટલ રોડ નજીક આવેલા પ્રતિષ્ઠિત મરીન ડ્રાઇવ પર જોગિંગ કરીને પોતાના દિવસની શરૂઆત કરી હતી.
તેમણે અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોને દક્ષિણ મુંબઈમાં તાજમહેલ પેલેસ હોટેલમાં નવેમ્બર 2008ના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને પુષ્પાંજલિ પણ આપી હતી.
મેક્રોનની ભારત મુલાકાતના ચાર દિવસ પહેલા પહેલા ભારતે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ યુદ્ધવિમાનની ખરીદીની એક દરખાસ્તને મંજૂરી આપી હતી. ફ્રાન્સ પાસેથી સરકાર-સરકાર વચ્ચેના માળખા હેઠળ 18 રાફેલ વિમાનની સીધી ખરીદી કરાશે, જ્યારે બાકીના વિમાનનું ભારતમાં ઉત્પાદન થશે. મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) પ્રોજેક્ટ હેઠળ રાફેલની ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશન ઉડ્ડયન માટે સજ્જ હોય તેવા 18 વિમાનો પૂરા પાડશે.











