ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રના પ્રથમ દિવસ બુધવારે સરકારે ઢોર નિયંત્રણ ખરડો પાછો ખેંચી લીધો હતો. માલધારી સમાજના ઉગ્ર વિરોધને પગલે સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા આ પીછહેટ કરી હતી. વિધાનસભાના સ્પીકરે આ ખરડો પરત ખેંચવા માટે અનુમતિ આપી હતી. ઢોર નિયંત્રણ બિલના વિરોધમાં પશુપાલક સમુદાયના સભ્યોએ બુધવાર, 21 સપ્ટેમ્બરે એક દિવસની દૂધ હડતાલ પાડવાનો પણ નિર્ણય કર્યો હતો.

વિધાનસભામાં સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બીલ પરત ખેંચવામાં આવ્યું હતું. અગાઉ રાજ્યપાલે પણ આ ખરડો સરકારને પરત કર્યો હતો. હવે આ બીલ પરત ખેંચવામાં આવતા માલધારી સમાજમાં જીત થઈ છે.

શહેરોમાં રખડતા ઢોરોની સમસ્યાના અંકુશમાં લેવા માટે સરકાર એક બીલ પસાર કર્યુ હતુ. સરકારમાં પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ બીલ મંજૂર થયા બાદ સરકારે માલધારી સમાજના આગેવાનો સાથે ખુલ્લા મને ચર્ચાઓ કરી છે. તેમની સમસ્યા પણ સમજી છે. સાથે સાથે મહાનગર અને પાલિકામાં પણ લોકોને તકલીફ ન પડે એટલા માટે એમના માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઢોરવાડા બનાવીને ઢોરને મૂકી જવાના અને ચૂકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમતોલ વ્યવસ્થા રાજ્યમાં કરીને આ ઢોર નિયંત્રણ કાયદો રાજ્યપાલે પરત મોકલ્યો છે. ત્યારે વિધાનસભામાં આજે સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યો છે.

આ ખરડાના વિરોધમાં ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા દૂધનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. તેનાથી કેટલાંક વિસ્તારોમાં કફોડી સ્થિતિ ઉભી થઈ હતી. અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. આ સિવાય સુરતમાં દૂધની થેલીઓ તાપીમાં ફેંકવામાં આવી હતી.

રખડતા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવા પર કોંગ્રેસ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કહ્યું કે, 31-03-2022ના રોજ ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું તે કોઈ પણ અભ્યાસ વિના લાવવામાં આવ્યું હતું. સરકારને પાછળથી એ વાતની ભાન થઈ કે, આ બિલ ખોટુ લાવવામાં આવ્યું છે તેથી આજે તે બિલને પાછું ખેંચવામાં આવ્યું છે. ગૌમાતા રોડ પર આવે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. અકસ્માત જેવા બનાવો ન બને તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.

LEAVE A REPLY

2 × 3 =