પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દિવાળી પછી કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ ઉપરાંત, શહેરના એન્ટ્રી પોઈન્ટ્સ પર ફરી સઘન ચેકિંગ કરવાની કામગીરી શરુ કરવાની તૈયારી કરી લીધી છે. કાળુપુર રેલવે સ્ટેશન પર પણ ગુરુવારે કેટલાક મુસાફરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમજ વેક્સિનેશન કેમ્પ પણ ઉભો કરવામાં આવ્યો હતો. 10 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં નવા 42 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 122 દિવસનો સૌથી ઉંચો આંકડો છે.

કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં AMTS તેમજ બીઆરટીએસના સ્ટેન્ડ પર પણ ટેસ્ટિંગ કરવામાં આવશે.જે લોકો હાલના દિવસોમાં કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, તેઓ કોના-કોના સંપર્કમાં આવ્યા છે તેનું પણ સઘન કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે, જેથી કોરોના વધુ ના વકરે. આ ઉપરાંત, તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચલાવાઈ રહી છે. ખાસ કરીને જે લોકોને બીજો ડોઝ બાકી છે તેવા લોકોને ઝડપથી કવર કરી લેવા તંત્રએ કવાયત શરુ કરી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર, હજુ 32 લાખ લોકોએ સમય વિતિ ગયા બાદ પણ સેકન્ડ ડોઝ નથી લીધો.

10 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં નવા 42 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 122 દિવસનો સૌથી ઉંચો આંકડો છે. રાજ્યમાં 24 કલાકમાં કેસ બમણા થયા છે, જ્યારે અમદાવાદમાં તો ચાર ગણા વધ્યા છે. જુલાઈ મહિનાથી રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો ખૂબ જ નીચે આવવાનો શરુ થયો હતો. તેમાંય 14 જુલાઈએ તો તે 40ની નીચે પહોંચી ગયો હતો. પરંતુ 10 નવેમ્બરે તેણે 40ની સપાટી તોડી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ ઉમટી હતી. જેમાં મોટાભાગના લોકો માસ્ક પહેરવાનું ટાળતાં હતાં, અને સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળતો હતો. જેને પરિણામે હવે કોરોનાના કેસમાં ધીમો વધારો દેખાઈ રહ્યો છે.