(PTI Photo)

ભારતની સુપ્રીમ કોર્ટે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં અનુસરવામાં આવેલા પ્રક્રિયાગત પ્રોટોકોલ અંગે ત્રણ સપ્તાહમાં સંક્ષિપ્ત સ્ટેટસ રીપોર્ટ સુપરત કરવાની સરકારને 11 ફેબ્રુઆરીએ તાકીદ કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન સરકારે માહિતી આપી હતી કે આ દુર્ઘટનાની એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB) તપાસ કરી રહ્યું છે અને તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં 241 મુસાફરો સહિત કુલ 260 લોકોના મોત થયાં હતાં.

બુધવારે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)નું પ્રતિનિધિત્વ કરતા કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચને જણાવ્યું હતું કે AAIB તપાસ અંતિમ તબક્કામાં છે અને તેના કેટલી બાબતની તપાસ વિદેશમાં હાથ ધરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે થયેલી બીજી ત્રણ સંબંધિત અરજીઓની સુનાવણી ત્રણ સપ્તાહ પછી હાથ ધરી શકે છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે AAIBની માત્ર ભૂમિકા ક્રેશનું કારણ નક્કી કરવાની છે, આપણે AAIB તપાસના પરિણામની રાહ જોઈએ અને પછી જોઈશું કે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની જરૂર પડશે કે નહી.

સુપ્રીમ કોર્ટ એક NGO, કાયદાના વિદ્યાર્થી અને મૃતક પાઇલટના પિતા દ્વારા દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમાં ક્રેશની સ્વતંત્ર, કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY