અજય દેવગણે તાજેતરમાં પોતાની એક નવી ફિલ્મનું પોસ્ટર બહાર પાડયું છે. આ ફિલ્મ ૨૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ ‘મેદાન’ ફૂટબોલ ટીમ પર આધારિત છે. આ ફુટબોલ ટીમે ૧૯૫૬ની સમર ઓલિમ્પિક સુધી પહોંતી હતી અને ૧૯૬૨માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટીમની વાર્તાને રૂપેરી પડદે ફિલ્માવવામાં આવશે. આ ફિલ્મમાં અજય દેવગણ ફૂટબોલના કોચ સૈય્યદ અબ્દુલ રહીમનું પાત્ર નિભાવતો જોવા મળશે. સૈય્યદ અબ્દુલ રહીમ ભારતના ફુટબોલનો સફળ કોચ તરીકે જાણીતો છે. સૈય્યદ અબ્દુલ રીમે ફુટબોલ કોચની કારકિર્દી હૈદરાબાદ સિટી પોલીસની ફૂટબોલ ટીમ સાથે શરૂ કરી હતી. એ પછી ૧૯૫૦માં તે ફૂટબોલ ફેડરેશન સાથે જોડાયો અને ટીમ ઇન્ડિયાનો કોચ અને મેનેજર બન્યો હતો. ૧૯૫૨માં સૈય્યદની ટીમ હેલસિન્કીમાં ઓલમ્પિકમાં વગર જોડા પહેરીને રમી હતી. જ્યારે આકરી હાર મળી હતી. આ પછી તેની ટીમ જોડા પહેરીને ૧૯૫૬માં મેલબર્નમાં રમી જ્યાં તેણે સેમીફાઇનલ સુધી પહોંચી. એ સમયે ફુટબોલ ઇતિહાસનો આ એક ઉત્તમ સફળતા હતી. ૧૯૬૨માં તેણે એશિયન ગેમ્સ જાકાર્તામાં ભારતીય ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સમયે તે કેન્સરનો ભોગ બની ચુક્યો હતો. રમત-ગમતના મેદાન પર જીત અપાવનાર કોચ સૈય્ય્દ ૧૯૬૩માં કેન્સર સામેનો જંગ હારી ગયો અને અવસાન પામ્યો.