(Photo by STR/AFP via Getty Images)
યુવા અભિનેત્રી આલિયા ભટ્ટ અત્યારે તેની નવી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે જોરદાર ચર્ચામાં રહી છે. તેની આ ફિલ્મનું બમ્પર ઓપનીંગ થયું છે અને તેની વ્યૂઅરશિપ વધી રહી છે. આ ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં 39 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. આલિયાની સંજય લીલા ભણસાલી સાથે આ પ્રથમ ફિલ્મ છે . આલિયા બાળપણથી તેમની સાથે કામ કરવા ઈચ્છતી હતી અને એટલા માટે જ માત્ર નવ વર્ષની ઉંમરમાં તેમની ફિલ્મ ‘બ્લેક’ માટે પ્રથમ વખત ઓડિશન આપવા માટે પહોંચી ગઈ હતી, પરંતુ તેનું સિલેક્શન નહોતું થયું. આલિયાને જોઈને ભણસાલીએ એક ભવિષ્યવાણી કરી હતી જે હવે સાચી થતી જોવા મળે છે.
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ છે. થોડા સમય અગાઉ બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાએ નિર્દેશક સંજયલીલા ભણસાલી સાથે કામ કરવાને લઈને કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી. આલિયાએ જણાવ્યું કે, તે સમયે હું પ્રથમ વખત તેમની એક ફિલ્મનું ઓડિશન આપવા ગઈ હતી. મેં ઓડિશન આપ્યું પણ હું ખૂબ જ બેકાર હતી તેથી મારું સિલેક્શન ના થયું પરંતુ સંજય લીલા ભણસાલીએ મને જોઈ અને આજે પણ તેઓ આ સ્ટોરી સંભળાવે છે. તેમણે મારી આંખોમાં જોયું અને પોતાને જ તે સમયે કહ્યું હતું કે, આ એક દિવસે હીરોઈન બનશે, ખૂબ જ મોટી એક્ટર બનશે. તે સમયે તેમણે મારી આંખોમાં એક આગ જોઈ હતી જ્યારે હું માત્ર નવ વર્ષની હતી.
આલિયાએ બોલિવુડ અભિનેત્રી તરીકે વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આલિયા ભટ્ટે ફિલ્મી કારકિર્દીમાં પોતાના 10 વર્ષ પૂર્ણ કર્યા છે.  તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અંગે એક ઈન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યો હતો કે, આ ફિલ્મમાં પોતાના રોલને દમદાર બનાવવા માટે તેણે મીના કુમારીની ફિલ્મ જોઈ હતી.