રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેમની કંપનીઓ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 1,400 કરોડ રૂપિયાથી વધુની નવી સંપત્તિ જપ્ત કરી છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
આ કેસમાં ફેડરલ તપાસ એજન્સીએ અગાઉ 7,500 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી હતી. દેશના વિવિધ ભાગોમાં સ્થિત સંપત્તિઓ માટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નવી કાર્યવાહી કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરના આદેશના ભાગ રૂપે 1,400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સાથે આ કેસમાં કુલ જપ્તીનો આંકડો લગભગ 9,000 કરોડ રૂપિયા થઈ ગયો છે.
અનિલ અંબાણીએ સોમવાર, 17 નવેમ્બરે બીજી વખત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. ઉદ્યોગપતિએ કહ્યું હતું કે તેઓ વર્ચ્યુઅલ હાજરી અથવા રેકોર્ડેડ વિડિયો દ્વારા ફેડરલ તપાસ એજન્સી સમક્ષ જુબાની આપવા તૈયાર છે. અગાઉ તેમણે 14 નવેમ્બરના રોજ પહેલી વાર સમન્સ ટાળ્યું હતું. EDએ અંબાણીની ઓફર ફગાવી દીધી હતી.
અગાઉ ઓગસ્ટમાં ફેડરલ તપાસ એજન્સીએ આ 66 વર્ષીય ઉદ્યોગપતિની લગભગ દસ કલાક પૂછપરછ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, SBI સાથે રૂ.2,929 કરોડની લોન છેતરપિંડી માટે રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ (RCom) સામેના કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આ તપાસ થઈ રહી છે.
EDની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની 21 ઓગસ્ટના રોજ નોંધાયેલી FIR આધારિત છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની આસપાસ નિયમનકારી ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. અગાઉ કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)એ ગ્રુપની કંપનીઓમાં ભંડોળના કથિત ડાયવર્ઝનની નવેસરથી તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસ હવે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ને સોંપવામાં આવી છે.











