ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ ખાતેના ‘એબોડ’ નામના નિવાસસ્થાનને ટાંચમાં લીધું છે.અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM)ના કથિત બેંક ફ્રોડની તપાસના ભાગરૂપે રૂ.3,716 કરોડની આ ઇમારતને જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કરાયો હતો, એમ ઇડીએ બુધવાર, 25 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું.
17 માળનું 66 મીટર ઊંચું આ ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે. દરમિયાન અંબાણીને આવતીકાલે એટલે કે 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે. જો તેઓ સમન્સ મુજબ હાજર થાય તો 66 વર્ષીય અંબાણીની બીજી વખતની પૂછપરછ હશે. તેમણે પહેલી વાર ઓગસ્ટ 2025માં જુબાની આપી હતી. તેમનું નિવેદન મની લોન્ડરિંગ નિવારણ ધારા (PMLA) હેઠળ નોંધવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, ફેડરલ એજન્સીએ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સામે બેંક ફ્રોડ અને નાણાકીય અનિયમિતતાની ફરિયાદોની તપાસ માટે એક વિશેષ ટીમ (એસઆઇટી)ની રચના કરી છે. અત્યાર સુધી ઇડીએ આ ગ્રુપ સંબંધિત આશરે 12,000 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે.
અગાઉ ગયા ગુરુવારે અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટમાં બાંહેધરી આપી હતી કે તેઓ કોર્ટની પૂર્વ પરવાનગી વગર દેશ છોડશે નહીં અને અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) સંબંધિત રૂ.40,000 કરોડના બેંકિંગ-કોર્પોરેટ ફ્રોડની તપાસમાં એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપશે.
ભૂતપૂર્વ અમલદાર ઇએએસ શર્મા દાખલ કરેલી અરજીના જવાબમાં અનિલ અંબાણીએ આ બાંહેધરી આપી હતી. શર્માએ ADAG, અનિલ અંબાણી અને ગ્રુપ કંપનીઓના કથિત મોટા બેંકિંગ અને કોર્પોરેટ ફ્રોડની નિષ્પક્ષ અને ઝડપી તપાસની માંગણી કરી છે.
સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે તેમને 26 ફેબ્રુઆરી, 2026ના રોજ હાજર થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સમન્સ પાઠવ્યું છે અને તેમણે તે તારીખે હાજર રહેવા અને તપાસમાં જોડાવાની બાંહેધરી આપી છે.













