બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી લંડનમાં સ્થાયી થઇ રહ્યા હોવાનું લાંબા સમયથી ચર્ચા છે. અનુષ્કા અને વિરાટે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેઓ વારંવાર યુકેમાં જોવા મળે છે. માધુરી દીક્ષિતના પતિ ડો. શ્રીરામ નેનેએ આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતું કે, દીકરી વામિકા અને દીકરા અકાયને સેલીબ્રિટી વાતાવરણથી દૂર રહીને ઉછેરવા માટે વિરાટ-અનુષ્કા લંડનમાં સ્થાયી થવા ઇચ્છે છે. યુ ટ્યૂબર રણવીર અલાહાબિયા સાથે ચર્ચા દરમિયાન વિરાટની પ્રશંસા કરતાં ડો. નેનેએ કહ્યું હતું કે, તેઓ અનેકવાર મળ્યા છે. અનુષ્કા શર્મા સાથેની વાતને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ લંડનમાં વસવાટ કરવાનું વિચારતા હતા, કારણ કે તેઓ સફળતાને માણી શકતા ન હતા. દરેક જગ્યાએ લોકોની નજર તેમના પર રહેતી હતી અને તેથી તેઓ સામાન્ય માણસની જેમ રહી શકતા નથી. પોતાના અનુભવને યાદ કરતાં ડો. નેનેએ કહ્યું હતું કે, દરેક જગ્યાએ લોકો સેલ્ફી માટે આવી જાય છે અને બહાર નીકળવાનું સહેલું હોતું નથી. વિરાટ અને અનુષ્કા તેમના સંતાનોને સામાન્ય બાળકની જેમ ઉછેરવા ઇચ્છે છે. વિરાટના બાળપણના મિત્ર રાજકુમાર શર્માએ પણ થોડા સમય પહેલાં જણાવ્યુ હતું કે, સંતાનોના ઉછેર માટે વિરાટ અને અનુષ્કા લંડન સ્થાયી થવાનું વિચારે છે.

LEAVE A REPLY