
ઉત્તરી ઇથોપિયામાં રવિવાર, 23 નવેમ્બરે આશરે 12,000 વર્ષ પછી ફાટેલા ભયાનક જ્વાળામુખી પછી ૧૦૦-૧૨૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને તેની રાખ ગુજરાત, દિલ્હી સહિતના ભારત સહિત ઘણા પ્રદેશોમાં ફેલાઈ હતી. રાખના વાદળોને કારણે મધ્ય પૂર્વ અને યુરોપના દેશોની ફ્લાઇટ કામગીરી પર અસર પડી હતી. પડોશી એશિયન દેશોની કેટલીક ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી.
રવિવારે સવારે ઇથોપિયાના અફાર પ્રદેશમાં હેલી ગુબ્બી જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને રાખના વાદળો ગઈકાલે મોડી રાત્રે દિલ્હીમાં પ્રવેશ્યા હતાં. દિલ્હી પહેલાથી જ પ્રદૂષણની ઝેરી હવા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પ્રદૂષણમાં વધુ વધારો થયો હતો.
વાતાવરણમાં હજારો ફૂટ ઉપરથી નીકળેલી રાખ પહેલા ગુજરાતમાં પ્રવેશી હતી અને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબ તરફ ગઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે રાખના વાદળો ચીન તરફ આગળ વધી રહ્યા છે અને સાંજે 7:30 વાગ્યા સુધીમાં ભારતીય આકાશમાંથી દૂર થઈ જશે.
ભારતના ઉડ્ડયન સંસ્થાએ એક એડવાઇઝરી જારી કરી હતી અને એરલાઇન્સને જ્વાળામુખીની રાખથી પ્રભાવિત વિસ્તારો ટાળવાની સલાહ આપી હતી. એડવાઇઝરીમાં ફ્લાઇટ પ્લાનિંગ, રૂટિંગ અને ઇંધણ વગેરે બાબતની પણ ખાસ ધ્યાન રાખવાની સલાહ અપાઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન્સને એન્જિનની કામગીરીમાં વિસંગતતાઓ અથવા કેબિનમાં ધુમાડો/ગંધ સહિત કોઈપણ શંકાસ્પદ રાખના સંપર્કની તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કંપનીએ હેલી ગુબ્બી જ્વાળામુખી વિસ્ફોટ પછી ચોક્કસ ભૌગોલિક સ્થળોએ ઉડાન ભરનારા વિમાનની “સાવચેતી તપાસ” હાથ ધરી હોવાથી 11 ફ્લાઇટ્સ રદ કરી હતી.રદ કરાયેલી ફ્લાઇટ્સમાં નેવાર્કથી દિલ્હી, ન્યૂ યોર્કથી દિલ્હી, દુબઈથી હૈદરાબાદ, દોહાથી મુંબઈ, દુબઈથી ચેન્નાઈ, દમ્મામથી મુંબઈ, દોહાથી દિલ્હી, ચેન્નાઈથી મુંબઈ અને હૈદરાબાદથી દિલ્હીની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.












