ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે પતિ પારુપલ્લી કશ્યપ સાથે ડિવોર્સ લીધાની સોમવારે (14 જુલાઈ) જાહેરાત કરી હતી. સાઇના અને ભારતના ભૂતપૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપે લાંબી રીલેશનશિપ પછી 2018 માં લગ્ન કર્યા હતા. તેના 7 વર્ષ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
35 વર્ષની સાઇનાએ રવિવાર 13 જુલાઈના રોજ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ખૂબ વિચાર કર્યા પછી પારુપલ્લી કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે બંને પોતાના અને એકબીજા માટે શાંતિ, પ્રગતિ અને રાહત પસંદ કરી રહ્યા છીએ.’
જોકે તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સાઇનાએ કશ્યપ સાથે વિતાવેલી ક્ષણો માટે આનંદ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, ‘હું હંમેશા આ યાદો માટે આભારી છું અને આગળ વધવા માટે શુભેચ્છા પાઠવું છું.’
