બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા ભારતના પ્રવાસે ગયા છે. નવી દિલ્હીમાં બંને દેશોએ વ્યાપારિક સમજૂતીને મંજૂરી આપી હતી. હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના પ્રેસિડેન્ટ વચ્ચે વ્યાપક વાટાઘાટો બાદ આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની ચર્ચા વેપાર, ઊર્જા, સંરક્ષણ, કૃષિ, આબોહવા કાર્યવાહી, ટેકનોલોજી, AI, સેમિકન્ડક્ટર, આવશ્યક ખનિજો અને વૈશ્વિક દક્ષિણ સહયોગમાં ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ કરારમાં આવશ્યક ખનિજો, ડિજિટલ સહયોગ, પરંપરાગત જ્ઞાનની વહેંચણી, આરોગ્ય, MSME, ઉદ્યોગસાહસિકતા અને જનસંચાર જેવા ક્ષેત્રોમાં કુલ દસ પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
બંને નેતાઓએ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વ્યાપારને $20 બિલિયનથી વધુ વધારવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સંયુક્ત નિવેદનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રેસિડેન્ટ લુલાના નેતૃત્વમાં ભારત-બ્રાઝિલના સંબંધો મજબૂત થયા છે. બ્રાઝિલ લેટિન અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારત અને બ્રાઝિલ બ્રાઝિલમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવા પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી અને નવીનતામાં દ્વિપક્ષીય સહયોગ ફક્ત બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે પણ જરૂરી છે.













