યુકે સરકારે ભારતમાં અટવાયેલા બ્રિટિશ પ્રવાસીઓ માટે વિશેષ ફ્લાઇટ્સ શરૂ કરી

0
674

ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 14 એપ્રિલ સુધી સ્થગિત કરી છે ત્યારે યુકે સરકારે ભારતમાં રોકાયેલા બ્રિટિશ પ્રવાસીઓ અને  ટૂંકા ગાળાના મુલાકાતીઓ કે તેમના સીધા આશ્રિતોને યુકે પાછા ફરવા માટે વિશેષ ફ્લાઇટ્સ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત 8 એપ્રિલે એક ચાર્ટર ફ્લાઇટ ગોવા માટે રવાના થઈ હતી. ચાર્ટર ફ્લાઇટ્સના પ્રથમ રાઉન્ડમાં ગોવા, મુંબઇ અને નવી દિલ્હીથી તા. 8થી 12 એપ્રિલ વચ્ચે સાત ફ્લાઇટ્સમાં બ્રિટીશ પેસેન્જરને લવાયા હતા.

બીજા રાઉન્ડમાં હવે ગોવાથી લંડન 14 અને 16 એપ્રિલના રોજ; તા. 18 એપ્રિલના રોજ ગોવાથી મુંબઇ થઈને લંડન 3 ફ્લાઇટ આવશે. તા. 13, 16, 17, 18 અને 19 એપ્રિલના રોજ અમૃતસરથી લંડન અને તા. 13 અને 15 એપ્રિલના રોજ અમદાવાદથી લંડન તેમજ તા. 17 એપ્રિલના રોજ હૈદરાબાદથી અમદાવાદ થઈને એક ફ્લાઇટ લંડન આવશે.

20 એપ્રિલના રોજ ચેન્નઈથી બેંગલુરુ થઈને લંડન અને કોલકાતાથી દિલ્હી થઇને એક ફ્લાઇટ તા. 19 એપ્રિલના રોજ લંડન આવશે. થિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ)થી કોચી થઇને લંડન આવતી ફ્લાઇટ તા. 15 એપ્રિલના રોજ ઉપડશે.

નીચેના એરપોર્ટ જે તે વિસ્તારોને આવરી લેશે:

દિલ્હી: દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન (જયપુર), મધ્ય પ્રદેશ ઉત્તર (ગ્વાલિયર); અમદાવાદ: ગુજરાત, રાજસ્થાન (ઉદયપુર), દીવ;  અમૃતસર: પંજાબ, જે એન્ડ કે, રાજસ્થાન (શ્રી ગંગાનગર); બેંગલોર: કર્ણાટક, આંધ્રપ્રદેશ દક્ષિણ (અનંતપુર); ચેન્નાઈ: તામિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ દક્ષિણ (નેલોર); કોચિન: કેરળ; ગોવા: ગોવા; હૈદરાબાદ: તેલંગાણા, આંધ્રપ્રદેશ ઉત્તર; કોલકાતા: પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વ રાજ્યો, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ; મુંબઇ: મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ દક્ષિણ (ઇન્દોર), દાદરા અને નગર હવેલી, દમણ, ત્રિવેન્દ્રમ: કેરળ.

બ્રિટિશ પ્રવાસીઓને સીટ બુક કરાવવા પોતાના શહેરો માટે બુકિંગ પોર્ટલની મુલાકાત લેવા અને ઑનલાઇન બુકીંગ કરવામાં મુશ્કેલી હોય તેમને પોતાના પૂરા નામ સાથે +44 7537 416 124 ઉપર ટેક્સ્ટ સંદેશ મોકલવા જણાવાયુ છે. ટિકિટો એરપોર્ટ પર વેચવામાં આવશે નહીં અને કન્ફર્મ ટિકિટ વિના એરપોર્ટ ન આવવા તેમજ સીટ બુક કરાવવા હાઇ કમિશનનો સંપર્ક ન કરવા જણાવાયુ છે.

બુકિંગ કરાવવા માટે માન્ય પાસપોર્ટ, યુકેના વિઝા, યુકેના ઘરનું સરનામું અને પોસ્ટકોડ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ વિગતો જરૂરી છે. જે લોકો ટિકિટના પૈસા ચૂકવી શકે તેમ ન હોય તેમને પોતાનુ પૂરૂ નામ +44 7537 416 124 ઉપર ટેક્સ્ટ કરવા જણાવાયુ છે. જો તમે હાલમાં કોરોનાવાયરસના લક્ષણો દર્શાવતા હશો તો તમે મુસાફરી કરી શકશો નહીં. ફ્લાઇટ્સ અંગેની વધુ માહિતી, ખર્ચ અને સામાન ભથ્થાઓ સહિત, બુકિંગ પોર્ટલ પર મળશે.

ટિકિટ કન્ફર્મ થયા પછી એરપોર્ટ સુધીની મુસાફરી કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન, શક્ય હોય ત્યાં એરપોર્ટ સુધીનુ વાહન અપાશે અને જરૂરી પરવાનગી બ્રિટિશ હાઈ કમિશન ભારત સરકારને સુપરત કરશે. વિમાનમથક સુધી ચાલે તેટલો ખોરાક પાણી સાથે રાખવા વિનંતી.

જો ભારતીય વિઝા પૂરા થતા હોય તો ઇ-એફઆરઆરઓ પર એક્સ્ટેંશન માટે ઑનલાઇન અરજી કરવાની રહેશે. ભારતની ફ્લાઇટ્સનો ચોક્કસ સમય એડવાઇઝરી અને સોશ્યલ મીડિયા ચેનલો પર જાહેર થશે. ઇમેઇલ એલર્ટ અને ટ્વીટર અને ફેસબુક પર બ્રિટિશ હાઇ કમિશનને ફોલો કરવા વિનંતી છે.

બ્રિટિશ હાઈ કમિશન, એરલાઇન્સ, ભારતીય અધિકારીઓ અને અન્ય સરકારો સાથે સંપર્કમાં છે કે જેથી યુકેમાં પાછા ફરવા માટેના વ્યવસાયિક વિકલ્પો વહેલી તકે ઉપલબ્ધ થાય.

જો તમે આ સમયે ભારત છોડી શકતા ન હો તો સ્થાનિક અધિકારીઓની સલાહનું પાલન કરવા વિનંતી છે. આપને ઘરે પરિવાર અને મિત્રો સાથે નિયમિત સંપર્કમાં રહેવા વિનંતી છે. જો તમે ભારતથી યુકે તાત્કાલિક પાછા આવવા માંગતા હો તો [email protected]  પર ઇમેઇલ કરી પૂરું નામ, જન્મ તારીખ, પાસપોર્ટ નંબર, વિઝા, ભારતમાં ચોક્કસ સ્થાન, ભારત આવ્યાની તારીખ, યુ.કે. પાછા ફરવા બુક કરાવેલી ફ્લાઇટની વિગતો તેમજ સંપર્કની વિગતો આપવા જણાવવા વિનંતી છે.

બ્રિટીશ કોન્સ્યુલેટ:

નવી દિલ્હી: +91 (11) 2419 2100; ચેન્નાઈ: + 91 (44) 42192151; મુંબઇ / ગોવા: +91 (22) 6650 2222.

ગોવા રાજ્ય સરકારે નીચેની હેલ્પલાઇનો ગોઠવી છે: ખોરાક માટે +91 94238 90066 અને દવા માટે +91 7823026971. જ્યારે નોર્થ ગોવામાં ખોરાક માટે +91 94238 90077 (ફક્ત વોટ્સએપ અને ટેલિગ્રામ). પંજાબ: Email: [email protected] અથવા WhatsApp નંબર +91 9779920404.