Getty Images)

દિલ્હીમાં કોરોનાથી બગડી રહેલી સ્થિતિ વચ્ચે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની એક બેઠક યોજાઈ. બેઠક બાદ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં 80 હજાર બેડની જરૂર પડશે. આવામાં એલજીના નિર્ણયે દિલ્હીવાસીઓ માટે સંકટ વધારી દીધુ છે. સિસોદીયાએ કહ્યું કે દિલ્હીના સરકારી અને ખાનગી હોસ્પિટલોને દિલ્હીના લોકો માટે રિઝર્વ્ડ કરવાના દિલ્હી સરકારના નિર્ણયને રદ કરવાના પોતાના નિર્ણય પર વિચાર કરવાનો ઉપરાજ્યપાલે ઈન્કાર કર્યો છે.

કમ્યુનિટી ટ્રાન્સમિશનના સવાલ પર સિસોદિયાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર તરફથી બેઠકમાં ભાગ લેવા માટે આવેલા અધિકારીઓએ કોરોનાના કમ્યુનિટી સ્પ્રેડની વાતનો ઈન્કાર કર્યો છે.’ સિસોદીયાએ કહ્યું કે, ’15 જૂન સુધીમાં દિલ્હીમાં 44,000 કેસ થઈ જશે અને 6600 બેડની જરૂર પડશે. 30 જૂન સુધીમાં એક લાખ કેસ થઈ જશે અને અમને 15000 બેડની જરૂર પડશે. 15 જુલાઈ સુધીમાં 2.25 લાખ કેસ થઈ જશે અને 33 હજાર બેડની જરૂર પડશે.

જ્યારે 31 જુલાઈ સુધીમાં 5.5 લાખ કોવિડ કેસ દિલ્હીમાં થાય તેવો અંદાજો છે. આવામાં 80 હજાર બેડની જરૂર પડશે.’બેઠક અગાઉ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે અને તે જલદી મુંબઈને પાછળ છોડી શકે છે. તેમણે કહ્યું હતું કે તેની આશંકાને જોતા અમે દિલ્હીની હોસ્પિટલોને રિઝર્વ કરવાની માગણી કરી હતી જેને સ્વીકારાઈ નહીં.

હકીકતમાં સોમવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી સરકારના એ નિર્ણયને પલટી નાખ્યા જેમા કહેવાયું હતું કે રાજધાનીની દિલ્હી સરકાર હસ્તગત હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની જ સારવાર થશે. ઉપરાજ્યપાલે અધિકારીઓને આદેશ આપ્યાં કે તેઓ એ વાતને સુનિશ્ચિત કરે કે કોઈ પણ દર્દીને સ્વાસ્થ્ય સેવાઓ આપવાની ના એ આધાર પર ન પાડવામાં આવે કે તે દિલ્હીનો રહીશ નથી.