Getty Images)

દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો આતંક ઘટવાનું નામ જ નથી લઈ રહ્યો. બે મહિનાના સખત લોકડાઉન બાદ લોકડાઉન 5માં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 508953 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 18552 નવા કેસ નોંધાયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 58 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10244 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 295881 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 384 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 15685 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 197387 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 152765 કેસ નોંધાયા છે જ્યારે 7106 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. દિલ્હીમાં 77240 કેસ નોંધાયા છે જ્યારે 2492 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ત્યારબાદ તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 74622 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 957 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાતમાં 30158 લોકો સંક્રમણમાં આવ્યા છે 1772 લોકોના મોત થયા છે.ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ચોથા ક્રમાંક પર છે.